ગાંધીનગર
ગાંધીનગરના પેથાપુર ચરેડી પાસેના સિદ્ધેશ્વરી પાન પાર્લરનુ શટર ઊંચુ કરી તસ્કરો અંદરથી સિગારેટના પેકેટ, સોપારી તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. ૪૦ હજાર ૧૦૦નો માલ સામાન ચોરીને પલાયન થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના પેથાપુર મુકામે રહેતાં હસમુખભાઇ પુંજાભાઇ પ્રજાપતિ પેથાપુર ચોકડીથી ચરેડી પાસેનાં ઓમકાર રેસીડન્સીમાં જવાના રસ્તા ઉપર સિધ્ધેશ્વરી પાન પાર્લર (ગલ્લો)તથા ટી-સ્ટોલ ચલાવે છે. તા. ૯મી સપ્ટેંબરના રોજ સવારના રાબેતા મુજબ હસમુખભાઈ પાર્લર ખોલી વેપાર ધંધો કરી રાત્રિના આશરે દશેક વાગે પાર્લરનું શટર બંધ કરી શટરના બંન્ને બાજુ લોક મારી ઘરે ગયા હતા. અને સવારે વહેલી પરોઢિયે પાર્લર ઉપર પરત આવ્યા હતા. ત્યારે પાર્લર આગળ એક વીમલનો ખાલી થેલો બહાર પડેલ હતો અને ગલ્લાનાં પતરાનુ શટર એક બાજુથી તોડી ઉંચુ કરી ખુલ્લી હાલતમાં જાેવા મળ્યું હતું. આથી તેમણે અંદર તપાસ કરતાં માલ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને પાર્લરનો માલ સામાન ચેક કરતાં સિગારેટ જે અલગ અલગ કંપનીના સિગારેટનાં પેકેટ નંગ-૮૦, બાગબાનનાં ડબ્બા નંગ-૨૦, કાચી સોપારી આશરે ૧૦ કિ.ગ્રામ, પાન પડીકીઓ તથા કોલગેટ સિબાકા ટુથપેસ્ટ નંગ-૨૦, જેબ્રોનીકસ કંપનીનુ સાઉન્ડ સિસ્ટમ તેમજ વકરાના રોકડ રૂપિયા ૧૨ હજાર મળી કુલ કિ.રૂ. ૪૦ હજાર ૧૦૦ની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. આ બનાવના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


