સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બસ હવે આ વર્ષનો માત્ર આજનો દિવસ લગ્ન મૂહૂર્ત હોય લગ્નસરાની મોસમ હવે એક માસ માટે વિરામ લેશે. ડિસેમ્બર ૨૦૨૨ ની ૧૬ મી તારીખે સવારે ૯- ૫૯ મિનિટે ધનારખ બેસે છે અને તારીખ ૧૬-૧-૨૦૨૩ સાંજે ૮-૪૬ કલાકે ફરી ધનારખ પૂર્ણ થતાં પુનઃ લગ્નસરાની મોસમ ધમધમી ઉઠશે. કાલથી એક માસ માટે લગ્ન સમારંભો બંધ રહેશે.. આમ તો આ લગ્નસરાનાં દિવસોમાં અનેક આશાસ્પદ યુવક યુવતીઓનાં ઢોલ ઢબુકિયા.. કોઈકે ફાર્મ હાઉસ બુક કર્યા તો કોઇકે થ્રી સ્ટાર કે ફોર ફાઈવ સ્ટાર હોટેલો બુક કરાવી. તો કોઈકે પોતાના સમાજની જ્ઞાતિવાડી બુક કરી લગ્ન પ્રસંગ રંગેચંગે ઉજવ્યો. જો કે પહેલાં તો લગ્ન વિધિ લગભગ કન્યાનાં ઘરનાં આંગણામાં થતી હવે એ પ્રથા સાવ નાબૂદ થતી જોવા મળે છે. અને પહેલાં લગ્નવિધિ પણ રાત્રિનાં સમયે યોજાતી હવે તો એ ભાગ્યે જ જોવા મળે છે. કોઈકે તો વળી એ પચાસ વર્ષ પૂર્વેની શણગારેલાં બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી, તો કોઇના વિવાહમાં હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થયો.. આમ ખૂબ હોશ અને ઉમંગ આનંદથી અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં.
આમ પણ લગ્ન એ જીવનનો સૌથી મહામૂલો અને અણમોલ પ્રસંગ હોય લોકો પોતાના વેભવ અને ઐશ્વર્યને છલકાવવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતાં જોવા મળેલ. હા, કોઈ કોઈ સ્થળે ચાંદલામા આવેલી ધનરાશિનો ઉપયોગ સામાજિક સંસ્થામાં અનુદાન કરીને પણ કરવામાં આવેલ. અંતે રંગેચંગે એક થા રાજા ઓર એક થી રાની દોનોંકે દિલોંકી અજબ થી કહાની જેવાં માંગલિક પ્રસંગો જ આ જીવનને હર્યુંભર્યું રાખે છે તે પણ આ વિવાહ વિધિ દરમ્યાન સિધ્ધ થયું. હવે એક માસનો ઇન્ટરવલ.. વળી પાછું એનું એ કન્યા પધરાવો સાવધાન..
