મોરબી
મોરબીના રાજપર રોડ ઉપર આવેલી દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તસ્કરોએ મોરબીના રાજપર રોડ ઉપર રામદેવપીરના મંદિર સામે આવેલી ઉમિયા પ્રોવિઝન સ્ટોર અને ક્રિષ્ના ગેસ એજન્સી નામની બંન્ને દુકાનોના તાળાં તોડી હાથફેરો ફરી ગયા હતા. આ દુકાનોના માલિકો આવ્યા ત્યારે દુકાન તૂટેલી હાલતમાં જાેવા મળતા દુકાનોમાં તપાસ કરતા તસ્કરો કળા કરી ગયાનું બહાર આવ્યું હતુ. અને તસ્કરો લાખોની મતા ઉસેડી ગયા હતા. જ્યારે ચાચાપર ગામના અને હાલ રાજપર રોડ ઉપર ઉમિયા પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાના માલિક મનુભાઈએ જણાવ્યું હતું કે, મારી દુકાન જનરલ સ્ટોર છે. તેમાં કપડાં તેમજ રાશન સહિતની બધી જ વસ્તુઓ હોય છે. કાલે જ કપડાં સહિતનો ૪૦ હજારનો માલ દુકાનમાં ભર્યો હતો. ત્યારે ગઈકાલે શુક્રવારે રાત્રે તસ્કરો તેમની દુકાનમાંથી કપડાં, માવા, વિમલના કાર્ટૂન સહિત આશરે રૂ. ૬૦ હજારથી વધુનો કરીયાણાનો સામાન ઉઠાવી ગયા હતા. તેમજ બાજુની ગેસની દુકાનમાં હિસાબના આશરે રૂ. દોઢ લાખ ગલ્લામાં રાખ્યા હતા. તસ્કરો આ ગેસની એજન્સીમાંથી રૂ. દોઢ લાખ પણ ઉઠાવી ગયા હતા. રાજપર રોડ ઉપર વારંવાર ચોરીના બનાવો બનતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોરબી જિલ્લામાં હમણાંથી પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ તસ્કરોના હાહાકાર વચ્ચે વધુ ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલી બે દુકાનને તસ્કરો નિશાન બનાવી લાખોની મતા ઉસેડી ગયા હતા. જેમાં તસ્કરો ગેસ એજન્સીમાંથી દોઢ લાખ રોકડા અને કરીયાણાની દુકાનમાંથી રૂપિયા ૬૦ હજારની વસ્તુઓ ઉઠાવી ગયા હતા.
