———
આયુષ મેળામાં બાળકોને આયુર્વેદિક દવાના ઉપયોગો, વનસ્પતિની વિશેષતાઓ
અને યોગ વિશે તબીબો દ્વારા કરાયાં માહિતગાર
———
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ મેળામાં આયુર્વેદને લગતી અને તેની ચિકિત્સા પધ્ધતિ અંગે સમજ આપતા વિવિધ ૯ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓ.પી.ડી. સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી નિષ્ણાંત તબીબો ધ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
આયુષ મેળાનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. અહીં નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી હતી. આ મેળામાં ઉડીને આખે વળગે તેવી બાબત એ હતી કે આ મેળામાં સરકારી મૂકબધિર શાળા રાજપીપલાના ૬ જેટલાં બાળકો શાળાના મદદનીશ શિક્ષકશ્રી વિજયભાઇ ડાભી સાથે મુલાકાતે આવ્યાં હતાં. આ બાળકોએ મેળામાં લગાવેલા સ્ટોલને રસપૂર્વક નિહાળી આયુર્વેદિક દવાના ઉપયોગ વિશે, વિવિધ વનસ્પતિઓના ઉપયોગ વિશે અને યોગ વિશેની માહિતી મેળવી હતી. આ બાળકોને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.નેહા પરમારે આવકાર્યા હતા અને આયુષ મેળા વિશેની માહિતી આપી હતી. આયુષ મેળાની આ મુલાકાત વેળા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પી.બી.રાણપરીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર પણ જોડાયાં હતા.


