મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો
એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી આ ઉજવણીમા સહભાગી થતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે.
એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.
એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનો ની સુવિધા કરવામાં આવી છે
સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથે ની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે.
સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પીટલની સ્થાપના કરવામાં આવેલી છે.
આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે.
સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરફ પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે.
આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોનો ખુબ મોટો ફાળો રહેલો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ
ગીરના સાવજ અને વન્યપ્રાણીઓ પ્રત્યે ખાસ કરીને આવનારી પેઢી સમા બાળકોમાં જે જાગૃતિ અને લગાવ જોવા મળ્યો છે તેની પ્રશંસા કરી હતી.
આ વર્ષે પણ વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6800 જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ,અગ્રણીઓ,વન્યપ્રાણી જીવ પ્રેમીઓ મળીને અંદાજે 15 લાખ લોકો જોડાયા છે.
આ આપણો વન્ય જીવો પ્રત્યેનો આદર દર્શાવે છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યુંકે વન વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોએ તો સિંહ સાથેના સહઅસ્તિત્વને સ્વીકાર્યુ છે તથા જીવો,જીવવા દો અને જીવાડો ના આપણા સંસ્કાર જાળવી રાખ્યા છે
શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ક્હ્યું કે એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાયન પ્રોજેકટની શરૂઆત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓ, વન વિભાગના અથાગ પ્રયત્નો અને ગુજરાતના લોકોની ભાગીદારી થી સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહેલો છે
એટલું જ નહિ સિંહના વિચરણ-હરફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી ૩૦ હજાર ચોરસ કિલોમીટર થયો છે એમ તેમણે જણાવ્યું હતું
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ અમૃત મહોત્સવના ભાગ રૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા નું આ અભિયાન યોજાવાનું છે.
તિરંગો રાષ્ટ્રધ્વજ દેશની એકતાની આન-બાન-શાન છે ત્યારે ગુજરાત ભરમાં કુલ મળીને ૧ કરોડ ઘરો પર તિરંગા ફરકાવવાનું લક્ષ રાખ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ હર ઘર તિરંગા અભિયાનને સૌ સાથે મળી સફળ બનાવે તેવી અપીલ પણ કરી હતી.
આ અવસરે ગાંધીનગરમાં વન મંત્રીશ્રી કિરીટ સિંહ રાણા,રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા,અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ શ્રી યુ.ડી.સિંઘ,અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી શ્રી શ્રીવાસ્તવ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
