તમામ સમસ્યાઓનો ઉકેલ ચારિત્ર્ય નિર્માણ જ છે. આનંદાલય એ ચારિત્ર્ય-નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકોનું એક વૃંદ છે. ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની આજની સર્વોત્તમ જરૂરિયાત છે. એટલે જ આનંદાલયે ‘सर्वम् शिलवता जितम्|’ ને ધ્યેયમંત્ર બનાવેલ છે. આનંદાલયની સ્થાપના ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક ડો.અતુલભાઈ ઉનાગર દ્વારા કરવામાં આવેલ છે. જે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે.
શિક્ષણ થકી દૃષ્ટિ-સંપન્ન જીવન આપવાનું આનંદાલયનું ધ્યેય છે. કેમ કે, દૃષ્ટિ-સંપન્ન વ્યક્તિ જ પોતાના અને સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહે છે. પ્રશિક્ષિત તથા ચારિત્ર્યથી ઓતપ્રોત આનંદાલયના સાધકો સમાજની સમસ્યાઓની પીડા લઈને સ્વ-જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરે છે. પરિપક્વ સાધકોનાં સમર્પિત જીવનો જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે છે. આનંદાલયનો હેતુ વ્યક્તિઘડતર દ્વારા સમાજ વિકાસ અને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે. શિક્ષક-દિન નિમિત્તે આનંદાલય દ્વારા યોજાઇ ‘વર્તનથી પરિવર્તન’ કાર્યશાળા.
આનંદાલય જીવન-શિક્ષણના વિવિધ આયામો અને પ્રકલ્પો ચલાવે છે. જેના થકી વ્યક્તિને જીવન-દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. દૃષ્ટિસંપન્ન વ્યક્તિ જ જીવનભર પોતાના અને બીજાના વિકાસ માટે કાર્યરત બને છે. આ જ ઉપક્રમે શિક્ષક-દિનના આગલા દિવસે જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલમાં કાર્યશાળા યોજવામાં આવી હતી.
જે શિક્ષક એવું માને છે કે શીખવું એ આજીવન ચાલતી પ્રક્રિયા છે અને શીખવું એ મારી પોતાની જરૂરિયાત છે તેવા સમર્પિત ૪૦ સાધક જે આ કાર્યશાળામાં અગાઉથી જ નોંધાયેલા હતાં. આ કાર્યશાળામાં જાણીતા સંશોધક પરામર્શક શ્રી એસ.આર ગજેરા ઉપસ્થિતિ રહ્યા હતા.
આનંદાલયની આ કાર્યશાળા ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં એક સાથે એક જ દિવસે અને એક જ સમયે યોજાય. કાર્યશાળામાં કોઈપણ પ્રકારનાં પ્રવચનો, ઉપદેશો કે ભાષણો નહીં. સહભાગી પોતાની જાત સાથે કામ કરવા માટે તૈયાર થયા. દરેક મુદ્દા પર પરસ્પર ચર્ચા કરીને તેના વિશ્લેષણના અંતે વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો. સહભાગીને સ્પર્શતી મર્યાદાઓ પર કામ કરવા માટે રોડમેપ તૈયાર થયો અને સંકલ્પબદ્ધ બન્યા. આ કાર્યશાળાનું શીર્ષક હતું “વર્તનથી પરિવર્તન” જેમાં પ્રો. મહેન્દ્રભાઈ ચોટલિયાના “E સદીના માનવ-શિક્ષકોનો સામર્થ્યપ્રાશ” લેખ પર મનોમંથન કર્યું હતું.
