Gujarat

સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને  શહેરી -ગરીબો માટે અમૂલ્ય ભેટ સમાન

“ધરતી નો  છેડો”    લેખન: જયેશભાઇ દોશી,નર્મદા
રોટી-કપડાની પ્રાથમિક જરૂરિયાત તો ઉપલબ્ધ થઈ જાય છે, પરંતુ મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે
કાચામાંથી પાકા મકાનનું સ્વપ્ન જરૂરી છે, આ સ્વપ્ન પૂર્ણ કરી રહી છે  પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને શહેરી
નર્મદા જિલ્લાને ફાળવાયેલ કુલ-૯૬૪૯ આવાસના લક્ષ્યાંક ના  તમામ આવાસોને મંજૂર કરી પ્રથમ હપ્તો ચૂકવવાની સાથે આજદિન સુધી કુલ રૂા. ૯૫૩.૮૮ કરોડના ખર્ચે ૭૮૧૩  આવાસો પૂર્ણ થયા નર્મદા જિલ્લાની આ વિશેષ સિદ્ધિ
રાજપીપલા: આમતો કહેવત ખુબજ સાચી છે કે “પહેલું સુખ તે જાતે નર્યા અને ધરતીનો છેડો ઘર ” માનવી સ્વસ્થ ત્યારેજ રહી શકે જો તેનુ રહેઠાણ અનુકૂળ હોય કેમકે કુદરત તો તેના નિયમ મુજબ ટાઢ,તાપ કે ચોમાસાનું પાણી આપવાનોજ છે પરંતુ આ તમામ સામે રક્ષણ તો માનવીએ જાતેજ મેળવવું છે,જોકે માનવી ની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં અને મકાન છે ત્યારે રોટી અને કપડાં માટે તો તે વ્યવસ્થા કરી જ લેછે પરંતુ મકાન નું સ્વપ્ન દુઃસ્વપ્ન બની જાયછે ત્યારે હવે કેન્દ્રસરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને શહેરો ના ગરીબો માટે અમૂલ્ય ભેટ સમાન સાબિત થઇ રહી છે.નર્મદા જિલ્લાને ફાળવાયેલ કુલ-૯૬૪૯ આવાસના લક્ષ્યાંક ના  તમામ આવાસોને મંજૂર કરી પ્રથમ હપ્તો ચૂકવવાની સાથે આજદિન સુધી કુલ રૂા. ૯૫૩.૮૮ કરોડના ખર્ચે ૭૮૧૩  આવાસો પૂર્ણ થયા નર્મદા જિલ્લાની આ વિશેષ સિદ્ધિ કહી શકાય .
                 દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નોંધારાને આધાર મળે અને છેવાડાનો માનવી પણ સ્વમાનભેર જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.અને આવીજ એક યોજના એટલે કેન્દ્ર સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી આવાસ યોજના.જે શહેર અને ગ્રામ્ય કક્ષા એ કાર્યરત છે.લાભાર્થીઓ ના સ્વમુખે જયારે આ લાભ ની વાતો સાંભળીએ તો ખેરખર એમ થાય કે ધરતીનો છેડો ઘર કઈ એમ જ નથી કહેવાતું ……શહેરી લાભાર્થી બાબુભાઈ છોટાભાઈ માછીએ એક  સંવાદમાં જણાવ્યું  કે, અત્યાર સુધી અમે કાચા ઘરમાં રહેતા હતા. કાચું ઘર હોવાથી વરસાદી સિઝનમાં ઘરમાં પાણી ટપકવાનો પ્રશ્ન રહેતો. બાળકોને રાત્રે કેમ સુવડાવવા તેની સતત ચિંતા થતી. શિયાળામાં પણ પરિવારને ઠંડીનો સામનો કરવો પડતો હતો. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી નો સર્વે કરવા માટે અમારા ફળિયામાં વહિવટી તંત્રની ટીમ આવી. અમારા પરિવારનો પણ સર્વે કરવામાં આવ્યો. પરંતુ અગાઉ અમને આવી કોઈ યોજનાનો લાભ મળ્યો ન હોવાથી આ સર્વે બાદ પણ લાભ મળશે કે કેમ તેનો અમને સ્વપ્નેય ખ્યાલ નહોતો.
             પોતાની વાત આગળ વધારતા બાબુભાઈ માછી જણાવે છે કે, એક દિવસ અચાનક અમને આવાસ યોજનાની મંજૂરી મળી હોવાનો વહીવટી તંત્ર દ્વારા પત્ર અને રૂબરૂ જાણ થતાં જાણે અમારી મનોકામના પૂર્ણ થઈ હોય તેવી અનુભૂતિ કરી હતી. તબક્કાવાર થયેલી કામગીરીમાં મને કુલ ૩.૫૦ લાખ રૂપિયાની સરકાર તરફથી સહાય મળી. જેનાથી આજે શહેરમાં પણ અમારું પોતાનું ઘરનું ઘર બની ગયું. શહેરમાં અમારું પોતાનું પાક્કું ઘર હશે તેનો અમને સ્વપ્નેય ખ્યાલ નહોતો. આજે મારા પરિવારને પાકા ઘરની છત અને દિવાલો મળતાં મારા બાળકોને શિક્ષણમાં પણ સહાયક બની છે. પાકા ઘરમાં બેસીને મારાં બાળકો અભ્યાસ કરી શકે છે. હવે અમને ચોમાસુ કે શિયાળાની કોઈ ચિંતા નથી. કેન્દ્ર સરકારની યોજનામાંથી આવાસનો લાભ મળતાં આજે અમે નિશ્ચિંત થઈને જીવન જીવી રહ્યાં છીએ.
             પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામની લાભાર્થી અરુણાબેન દિલિપભાઇ રોહિતનું પાકા મકાનનું સ્વપ્ન પણ પૂર્ણ થયેલ છે ત્યારે  ઉંડવા ગામની લાભાર્થી અરુણાબેન  ખુબ જ ખુશ છે. કારણ કે, હવે તેમની પાસે રોટી-કપડાની પ્રાથમિક સુવિધાઓ સાથે મકાન પણ છે. પોતાની આપવિતી વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે, કાચા મકાનના કારણે વરસાદની સીઝનમાં ઘરમાં પાણી ભરાઈ જતુ હતુ. જેથી ઘરની ચીજ-વસ્તુઓને નુકસાન થતુ હતુ. વધુમાં ઘરમાં પાણી ભરાઈ જતા આરોગ્યલક્ષી ગંભીર બિમારીઓ થવાની સંભાવના રહેતી હતી. ગરીબો કાચા મકાનમાં રહીને પાકા મકાનના સપના જુવે છે. સપના જોવાની વાત સામાન્ય છે, પરંતુ તેને પૂર્ણ કરવું મુશ્કેલ છે. કારણ કે, ગરીબ પરિવારના જીવનમાં લગ્ન પ્રસંગ અને ઘર બનાવવાની કામગીરી એક જ વાર થાય છે, જેના માટે ખુબ મોટો ખર્ચો થાય છે. લગ્ન તો થઈ જાય છે પરંતુ, ઘર બનાવવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન રહી જાય છે.
     પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજનાના લાભાર્થી અરુણાબેન આ યોજનાનો લાભ મળવા પાછળ ગામના સક્રીય સરપંચ, તલાટી, ગ્રામ સેવકોનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, સરકાર દ્વારા ગરીબવર્ગો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે, પરંતુ લાભાર્થીઓ સુધી સરકારના લાભો પહોંચાડવાની જવાબદારી ગામના સરપંચ તેમજ આગેવાનોની પણ હોય છે. જો તેઓ સક્રિય હોય તો સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાના લાભો દરેક ગ્રામજનોને મળી શકે છે.
   ૨૦૧૯ સુધી અરુણાબેન કાચા મકાનમાં રહેતા હતા. જે બાદ તેમના ડીઆરડીએ/પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ ટીમ વતી તેઓના ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. તાલુકાકક્ષાએથી પણ ચકાસણી કર્યા બાદ અરૂણાબહેનને વહિવટી મંજૂરી મળી ગઈ હતી.
              પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ પ્રથમ હપ્તાના ભાગરૂપે રૂ.30000/- ની સહાય મળી હતી. જે બાદ ઘરનું કામ શરૂ કરવામાં આવ્યુ, બીજા હપ્તાની રકમ રૂ.50000/- મળી અને ત્રીજો અને અંતિમ હપ્તાના ભાગરૂપે  બેંક ખાતામાં રૂ. 40000/- હજાર એમ કુલ 120000/- રકમ જમા થઈ અને કાચાથી પાકા મકાનમાં આવવાનું મારુ સ્વપ્ન પૂર્ણ થયુ છે. હવે રોટી, કપડા સાથે તેમની  પાસે મકાન પણ છે. સરકારની સહાય સ્પષ્ટ અને સીધી મળી જતા પારદર્શક પદ્ધતિનો ખૂબ સારો અનુભવ થયો છે એમ લાભાર્થી અરુણાબેન  સહર્ષ કહી શકે છે.
                      આ તો માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો સાથેનો સંવાદ છે  પરંતુ નર્મદા જિલ્લા માં આવા ૭૮૧૩ લાભાર્થીઓ ખુશી ખુશી ધરતીના છેડા માં ઇવન નિર્વાહ કરી કેંદ્રસરકાર ને આશીર્વાદ આપી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *