સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હાઈકોર્ટેના આદેશ અનુસાર બંધારણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ૩૦-૧૧-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન મહુવા રોડ પર ગિરધરવાવ પાસે આવેલા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ. આ તકે આ શાળાના વિદ્યાર્થીઓને બંધારણના મૂળભૂત હકો અને ફરજો સંદર્ભે સાવરકુંડલા શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી નમ્રતાબેન પડીયા દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. સાંપ્રત સમયમાં બંધારણની મૂળભૂત હકો અને ફરજોની સમજ આપવાની પ્રશંસનીય કામગીરી તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ. એમ. ટાંકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. શિબિરની શુભ શરૂઆત આ શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ બોરીસાગર દ્વારા મહાનુભાવોનું સ્વાગત શબ્દ ગુચ્છ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને વકતાઓને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં. આભારવિધિ આ શાળાના સંનિષ્ઠ શિક્ષક જનકારભાઈ દ્વારા કરવામાં આવેલ.


