સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલા શહેરમાં તારીખ ૧૬ મી નવેમ્બરના રોજ જાહેરાતનું બોર્ડ લગાવતી વખતે આકસ્મિક રીતે ઈલેકટ્રીક શોક લાગવાથી એક નવયુવાનનું મોત થયાના સમાચારે બુધ્ધિજીવી વર્ગમાં ભારે ચર્ચા જગાવી છે સવાલ એ થાય કે આવા જોખમી કામ કરતી વખતે કોઈ જવાબદાર વ્યક્તિની હાજરી હોય છે કે કેમ? કે પછી પાપી પેટનો સવાલ હોય એટલે તમામ જોખમો વ્યક્તિ પોતે વહોરી લેવા તૈયાર હશે? સવાલ જ્યારે જીવન મૃત્યુનો હોય તો કોઈ પણ ક્ષેત્રની કામગીરીમાં પર્યાપ્ત સાવધાની રાખવી તે માટે જરૂરી હોય છે. હા, કામ કોનુ? કોણે કર્યું? કર્યું તે સરકારના તમામ નિયમોનું પાલન કરીને કર્યું કે કેમ? અનેક સવાલો લોકો સમક્ષ એક કૂતુહલ રૂપે ઉદભવે એ પણ સ્વાભાવિક છે. નિયમપાલન જો થયું હોય તો આવી ઘટના બનવાનું કારણ? સવાલ સીધોસટ છે કે આ આકસ્મિક મૃત્યુ માટે જવાબદાર કોણ? ચૂંટણી તો આવી અને જતી પણ રહેશે પરંતુ જે પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો તેને ગુમાવેલા પોતાના સ્વજનની ઉણપ તો કાયમ રહેશે. આવી આકસ્મિક દુર્ઘટના ન થાય તે માટે પણ તંત્ર દ્વારા પર્યાપ્ત માત્રામાં પગલાં લેવાશે કે કેમ? હાલ તો એ આકસ્મિક મોતની કારમી દુર્ઘટના એ કુટુંબ માટે તો આ ચૂંટણી પર્વનું કાયમી માટે એક કડવું સંભારણું જ બની રહ્યું.. એ પરિવારનો એક સભ્ય કાયમ માટે આ ફાની દુનિયામાંથી વિદાય થયો..એ દુખના આંસુ ક્યારે સુકાશે?
