સુરત
મૂળ અમરેલી જિલ્લાના નેસડી ગામનો સંદિપ ઉર્ફ દેવો જીણાભાઈ સરવૈયા હાલમાં વરાછામાં લંબે હનુમાન રોડ પર પરિમલ સોસાયટીમાં રહે છે. સંદિપ રત્ન કલાકાર છે. ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી તેનો પરિચય મૂલ આસામના દિબ્રુગઢની દિપીકા મંડલ સાથે થયો હતો. બંનેને પ્રેમ થતા સંદિપ તે સમયે દિબ્રુગઢ જઈને પાંચ મહિના ત્યાં રહ્યો અને દિપીકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાંથી તે દિપીકાને લઈને સુરત આવી રહેવા લાગ્યો હતો. તેને સંતાનમાં એક દીકરો છે. દિપીકાના બંને ભાઈ દિપાંકર( ૨૦) અને સાત વર્ષનો ભાઈ પણ સુરત આવીને દિપીકાના ઘરે રહેવા લાગ્યા હતા. સંદિપ હીરાના કારખાને નોકરી પર ગયો હતો. સંદિપના પિતાનો તેમના વતનથી ફોન આવ્યો કે તારી મમ્મીને ફોન કરૂં છુ તે ઉપાડતી નથી. તેથી સંદિપે પણ ઘરે મમ્મીને અને પત્ની દિપીકાને ફોન કર્યા હતા. ૨૫ થી વધુ વખત ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો. તેથી સંદિપે ઘર પાસે રહેતા બનેવીને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું હતું. બનેવીએ ઘરે જઈને જાેતા ઘર બંધ હતું અને બહારથી દરવાજાને તાળું મરાયું હતું. બનેવીએ સંદિપને આવી જાણ કરતા સંદિપે બનેવીને સુરત રેલવે સ્ટેશને જવા કહ્યું હતું. સંદિપ પણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર દિપીકા, દિપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા.બંનેને લઈને ઘરે આવ્યા હતા. ત્યાં ઘરમાંથી સંદિપની માતા વિમળાબેનની લાશ પડેલી હતી. સંદિપે આરોપી દિપીકા અને દિપાંકર વિરુદ્ધ વરાછા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. તે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી. તેથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી દિપીકા અને દિપાંકરે ગળું દબાવી દીધું હતું. સાસુ પાછળ ન આવે કે કોઈને ફોન ન કરી શકે તે માટે તેમણે સાસુના હાથ-પગ બાંધી દીધા હતા. રૂમને તાળું મારીને તેઓએ હત્યા કરી હતી.વરાછામાં લંબે હનુમાન રોડ વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુ ગુજરાતી સાસુનું ગળું દબાવી હત્યા કરી ઘરને બહારથી તાળું મારીને આસામ જવા માટે ભાગી ગઈ હતી. પતિએ પત્ની અને તેના ૨ ભાઇઓને સુરત રેલવે સ્ટેશનેથી પકડીને પોલીસને સોંપી છે.
