ગાંધીધામ
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રવેચીનગરમાં રહેતા અને ગાંધીધામમાં ઓટો ગેરેજ ચલાવતા સુભાષ જૈતા ગુજરીયા જેઓ મિત્ર યશપાલસિંહ જાડેજા સાથે કારમાં અંજાર જતા હતા. ત્યારે વર્ના કારમાં સવાર અજાણ્યા ઈસમે પૂર્વ આયોજીત કાવતરું રચી તેમનો પીછો કર્યો હતો અને ચિત્રકુટ સર્કલ પાસે આંતરી હાથના ઈશારે સુભાષની કારને રોકાવી હતી. સુભાષે કાર થોભાવતા અજાણ્યા ઈસમે પથ્થર ઉપાડી સુભાષને ફટકાર્યો હતો. આ દરમિયાન ત્રણ ચાર બાઈકમાં આવેલા ઈસમોએ ધારીયુ, ચપ્પુ, હોકી જેવુ હથિયાર ધારણ કરી સુભાષ તેમજ તેમના મિત્ર યશપાલસિંહ પર હિચકારો હુમલો કરી દીધો હતો. રાડારાડી થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવવા પડયા હતા, પરંતુ આરોપીએ વર્ના કાર સુભાષ પર ચડાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં ટોળામાં હાજર લોકોએ સુભાષને સાઈડમાં ખેંચી લીધો હતો. હુમલા બાદ શબ્બીર નામના ઈસમે સુભાષના ભાઈને માર મારવાની ધમકી આપી આરોપી પલાયન થઈ ગયા હતા. હુમલા બાદ સુભાષનો ભાઈ તથા સગા સંબંધીઓ આવી ગયા હતા અને સુભાષની કારમાં તપાસ કરતા રોકડા રૂપિયા ૨.૬૦ લાખ તથા મોબાઈલની લૂંટ થયાનુ ધ્યાને આવ્યું હતું. મારામારીમાં સુભાષને ગંભીર ઈજાઓ થતા અંજાર હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જે અંગે પોલીસે રાયોટીંગ, લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.અંજારના ચિત્રકુટ સર્કલ પાસે કાર તેમજ ત્રણ ચાર બાઈકમાં આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીની કાર રોકાવી દીધી હતી. ત્યારબાદ પ્રાણઘાતક હથિયારોથી હિચકારો હુમલો કરી દીધો હતો. આટલું ઓછું હોય તેમ આરોપીએ યુવાન વેપારી પર કાર ચડાવી દઈ મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો અને વેપારીની કારમાં રહેલ રોકડા રૂપિયા ૨.૬૦ લાખ તથા મોબાઈલની લૂંટ ચલાવી આરોપી પલાયન થઈ જતા ખાખીમાં દોડધામ મચી જવા પામી હતી.

