આણંદ
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે અપશબ્દ બોલવાની ના પાડવા મુદ્દે થયેલી મારામારીમાં બે પડોશી પરિવારે સામસામે મારમારી અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આ અંગે ભાલેજ પોલીસે બન્ને પરિવાર સામે ગુનો નોંધ્યો હતો. વણસોલનાં રોહિતવાસમાં રહેતા હસમુખ ઉર્ફે મનુભાઈ રોહિતને નજીકમાં રહેતો અરવિંદ ગણેશભાઈ રોહિત અપશબ્દ કહી રહ્યો હતો. આથી, હસમુખે તેને અપશબ્દ બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને અરવિંદ અને તેના પરિવારનાં મનીષ અરવિંદ રોહિત, ભૌતીક અશોક રોહિત, અશોક બાબુ રોહિત, વિનુ પરસોત્તમ રોહિત ધસી આવ્યાં હતાં. આ શખસોએ હસમુખની ફેંટ પકડી મારમારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે વચ્ચે પડેલા કેતન ઇશ્વર રોહિત તથા નિશાબહેન રોહિતને પણ લાકડાની હોકિ, લોખંડના સળીયા ફટકારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત હસમુખના ઘરમાં બારી બારણા પર છુટા પથ્થરો ફેંકી તોડફોડ કરી હતી. જ્યારે આગળની દિવાલ હાથથી ખેંચી તોડી નાંખી હતી. આ અંગે હસમુખની ફરિયાદ આધારે ભાલેજ પોલીસે અરવિંદ રોહિત, મનીષ રોહિત, ભૌતીક રોહિત, અશોક રોહિત અને વિનુ રોહિત સામે ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ હાસુભાઈને સોંપી છે. હસમુખ રોહિતે અપશબ્દ બોલી અરવિંદને લાફો મારી દીધો હતો. આ ઉપરાંત તેનું ઉપરાણું લઇ ધસી આવેલા તેમના પરિવારજનોએ છુટા પથ્થરમારો કરી મંજુલાબહેન, સ્મીતાબહેનને ઇજા પહોંચાડી હતી. જ્યારે ભત્રીજા ભાવેશને બચકુ પણ ભરી લીધું હતું. આ અંગે ભાલેજ પોલીસે હસમુખ ખાનાભાઈ રોહિત, ઇશ્વર ખાનાભાઈ રોહિત, જગદીશ સોમા રોહિત, કેતન ઇશ્વર રોહિત, કલ્પેશ ઉર્ફે ભગો ઇશ્વર રોહિત સામે ગુનો નોંધ્યો છે.
