અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા લાપાળા ડુંગર પર વિકરાળ આગ લાગી હતી. અહીં બાજુમાં મિતિયાળા ગીર જંગલની બોર્ડર પણ આવેલી છે. આ વિસ્તારને સિંહો અને દીપડાનું ઘર માનવામાં આવે છે. સાથે આ આગ મધરાતે અતિ વિકરાળ બની હતી, જેના કારણે વધુ પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આશરે ૩૦૦ વીઘા કરતા વધુ વિસ્તારમાં આગ લાગી હતી. ઘટના બની ત્યારે આ ઘટનાની કોઈ વિભાગ દ્વારા ગંભીરતા નહોતી લેવાઈ. જેના કારણે આગ બેકાબુ બની હતી. જાે કે ઘટનાની ગંભીરતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સુધી પહોંચતા ખુદ કલેક્ટર રાતે બનાવ સ્થળે પહોંચ્યા હતા. જેમની સાથે ધારી નાયબ કલેક્ટર તેમજ ૪થી વધુ મામલતદારની ટીમો પણ દોડી હતી. કલેક્ટર વહેલી સવારે ૪ વાગ્યા સુધી રોકાયા હતા. જાે કે મોડે મોડે વનવિભાગ એલર્ટ થયું હતું અને ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા, પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અમરેલી આમ અલગ અલગ ૩ ડિવિઝનની મદદ લેવી પડી હતી. આ આગ મિતિયાળા અભ્યારણ નજીક લાગી હતી, ઘટનામાં વનવિભાગના ૩૦૦ જેટલા અધિકારી તેમજ કર્મચારીઓની મદદ લેવાઈ રહી છે અને વન્યપ્રાણીઓને કોઈ નુકસાન પહોંચ્યું છે કે કેમ તે માટે સ્કેનિંગ શરૂ કરાયું છે. આગને પગલે વન્યજીવો તેમજ પશુ પક્ષીને નુકસાન થયું હોવાની આશંકા પણ જાેવા મળી રહી છે. મોડી રાત સુધી આસપાસના ગામડાના લોકો પણ મદદ માટે દોડ્યા હતા. ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે ખાંભાના રેવન્યુ વિસ્તાર અને માલિકી વાળા ડુંગરામાં આગ છે. બાજુમાં મિતિયાળા અભ્યારણ પણ આવેલું છે. જેથી અલગ અલગ ડિવિઝનનો ૩૦૦ લોકોનો સ્ટાફ ત્યાં હાજર છે. તેમજ આગ જંગલમાં ન પહોંચે તે માટે તકેદારીના ભાગરૂપે આગ બુઝાવવા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. હાલ વનવિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ છે, પણ સિંહોને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ઘટના બની હતી, પરંતુ તેની કોઈ ગંભીરતા લેવાય નહોતી. આખરે જિલ્લા કલેક્ટરે ઘટનાની ગંભીરતા દાખવી હતી. જેના કારણે વનવિભાગને દોડતું થવું પડ્યું હતું. હવે આગ વધુ પ્રસરી ગઈ છે ત્યારે તેને કંટ્રોલ કરવા માટે મથામણ ચાલે છે. વન્યપ્રાણીને નુકસાન થશે તો તે માટે જવાબદાર કોણ? જેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જાે ગઈકાલે આગ બુઝાવવા પ્રયાસ કરાયા હોત તો અત્યારે આગ કંટ્રોલમાં આવી હોત એમ સ્થાનિક લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ગામડાના લોકો અને સરપંચોએ ખૂબ રજૂઆતો કરી હતી પણ વન વિભાગના પેટનું પાણી ન હલ્યું હોવાના આક્ષેપો પણ થયા છે. રાજુલાના વાવડી ગામ નજીક ડુંગરામાં પણ આગ લાગી હતી. જાે કે અહીં પણ રેવન્યુ વિસ્તાર હતો, પરંતુ સિંહોનો વસવાટ હોવાને કારણે રાજુલા વન વિભાગે આ વાતની ગંભીરતા દાખવી હતી. તેમજ રાતે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાે કે આમ ૨૪ કલાક દરમિયાન આગની ૨ ઘટનાએ વનવિભાગમાં દોડધામ મચાવી દીધી છે. આગ મોટાભાગે કંટ્રોલ કરી દેવાઈ છે. હજુ થોડી અમુક વિસ્તારમાં છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા બુજાવાઈ રહી છે. હજુ ૨ દિવસ સુધી ધુમાડા દેખાશે, હાલ કોઈ નુકસાન નથી, પરંતુ ૨ દિવસ પછી કહી શકાય. હાલ વનવિભાગ પણ સ્કેનિંગ કરી રહ્યું છે.


