વડોદરા
એક વાર વધુ વિદેશમાં ભારતીયો ફસાયાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં વડોદરાના યુવક સહિત ભારતના ૧૬ યુવાનો ફસાયા છે. વડોદરાનો હર્ષવર્ધન શૌચે છેલ્લા ૯૦ દિવસથી આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાતા પરિવાર ચિંતામાં મુકાયો છે અને યુવકને પરત લાવવા પરિવારે સરકાર પાસે મદદ માગી છે. ત્યારે એન્જિનિયર યુવકને મુકત કરવા માટે સાંસદ રંજન ભટ્ટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે.એન્જીનીયરની પત્નીએ સરકારને ફાસ્ટ એકશન લેવા માટે પત્ર લખીને વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. નાઇઝીરિયન નેવીએ શિપ ઝડપી પાડતા કુલ ૧૬ ભારતીયો અને ૮ શ્રીલંકન સહિત કુલ ૨૬ લોકો ગિનીમાં ફસાયેલા છે. ફસાયેલા ૨૬ પૈકીના અનેક લોકો તો બીમારીમાં પણ સપડાઇ ગયા છે. એક એન્જિનિયરની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હર્ષવર્ધનની પત્નીએ કહ્યું, કંપનીએ ૨૦ લાખ ડોલર ભરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે. છતાં ૯૦ દિવસથી તેમનો છુટકારો થયો નથી. નાઇજીરીયા હવે ૨૬ લોકોનો કબજાે લેવાનું હોવાથી અમારી ચિંતા વધી છે. વડોદરાના અલકાપુરીના સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા હર્ષવધન શૌચે ફેબ્રુઆરી માસમાં ગિની ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી. હર્ષવર્ધન શિપ કંપની માટે કામ કરતા હતા. જાે કે નાઇઝીરિયન નેવીએ ૨૬ લોકોની આ શિપ ઝડપી પાડી હતી. જે પછી ફસાયેલા ૨૬ પૈકીના અનેક લોકો બીમાર પડી ગયા હોવાની માહિતી મળી હતી. હર્ષવર્ધનની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હર્ષવર્ધનના પરિવારજનોએ ભારતીય વિદેશ મંત્રાલયને ઝડપી મદદ કરવાની માગ કરી છે.