સાબરકાંઠા
વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી વિભાગની કામગીરીમાં ગતિશીલતા આવી ગઈ છે. જેને લઈને મતદાન જાગૃતિ રથનું ભ્રમણ શરુ થયું છે. તો ચૂંટણીમાં એસએમએસ તથા સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ રોકવા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આર્મીની પણ ફ્લેગ માર્ચ વિવિધ પોલીસ સ્ટેશના વિસ્તારમાં યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે અવસર રથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સક્રિય ભાગીદારીથી ઊંચું મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ૨૮-ઇડર વિધાનસભા બેઠકના ભદ્રેસર, જવાનપુરા, ઇડર સીટી, વડાલી સીટી, કંજેલી, ડોભાડા, વાસણ સહિતનાં વિવિધ ગામોમાં આ રથ ભ્રમણ કરી રહ્યો છે. લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મતદાન જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી અને ઉત્સાહ પૂર્વક રથના વધામણાં કર્યા હતા. આ અવસર રથ ૨૯-ખેડબ્રહ્મા (અનુસૂચિત જન જાતિ) વિધાનસભા બેઠક ખાતે ભ્રમણ કરશે. સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કે ૫મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સ્વતંત્ર, ભયમુક્ત અને નિષ્પક્ષ મતદાન થાય તે હેતું માટે એસએમએસ અને સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગના થાય તે માટેના નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આચાર સંહિતા ભંગ અંગે માહિતી આપવા જાહેર જનતા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. ડોડિયા છે. તેમનો (મો).નં. ૯૮૯૮૯૧૪૨૧૨ તથા લેન્ડ લાઇન નં. ૦૨૭૭૨-૨૪૧૩૦૩ પર નાગરિકો ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકે છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશના વિસ્તારોમાં ફાળવેલા આર્મી જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી. તો હિંમતનગરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાવરથી ફ્લેગ માર્ચ શરુ કરી હતી. તો નવા બજાર, જુના બજાર, હાજીપુરા, બહુમાળી ભવન થઈને ન્યાયમંદિર સુધી ફ્લેગ માર્ચ કરી હતી. જેમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશના પીએસઆઈ સહીત સ્ટાફ જાેડાયો હતો.
