જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે મતદાન તા.૦૧/૧ર/ર૦૨૨ના રોજ યોજવાનું તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી,પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહી. તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ નહી તેવી જોગવાઈ છે. ભારતના ચૂંટણીપંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પક્ષ, સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરુધ્ધમાં કે ચુટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરુધ્ધ કોઈપણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેકટ્રોનિકના માધ્યમથી કરવામાં ન આવે તેવી સુપ્રીમ કોર્ટે જોગવાઈ કરેલ છે તેમજ ભારતના ચૂંટણી પંચના તા.ર૭/૦૮/ર૦૧રના પત્ર ક્રમાંક: ૪૯૧/પેઈડ ન્યઝ/ર૦૧ર/મીડીયાની માર્ગદર્શક સુચનાઓ અન્વયે અધિક મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરના તા.૩૧/૦૮/ર૦૧ર ના પત્ર નં. ઈએલસી/૧૦૧૦/ર૩૩(ર)/છ થી થયેલ સુચનાનુસાર જિલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેના સર્ટીફીકેશન માટે મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટિની રચના કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે. જે અંગેની કામગીરી નાયબ નિયામકશ્રી, માહિતી ખાતુ, જામનગર, સભ્ય સચિવ તરીકે સંભાળે છે.
આ સુચનાની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન. ખેર, જામનગર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સતાની રૂએ જાહેરનામુ ફરમાવેલ છે કે, ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, બીજી કોઈ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વિગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડી સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, ઈલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે આવી જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વિગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટિના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી, જામનગરને કરવાની રહેશે.
આ અરજીમાં નીચેની બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.
જાહેરાત નિર્માણનું ખર્ચ, ઈન્સર્શન્સની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઈન્સર્શન માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજિત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે, જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યકિતએ આપી હોય તો તે વ્યકિત સોગંદ પર જાહેર કરશે કે, તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી, બધી ચુકવણી એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે એવી કબુલાત ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત જીંગલ્સ ઈન્સર્શન્સ, બાઈટનું પ્રસારણ થઈ શકશે નહી, ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીશ્રીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે તથા કેબલ ટેલીવિઝન અધિનિયમ-૧૯૯પ, તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કોર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉકત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સતા આપવામાં આવે છે.
આ જાહેરનામુ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે તેમજ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને પણ લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પની જોગવાઈ મુજબ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી- ર૦૨૨ અન્વયે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા ધરાવતા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ તેમના કાર્યક્ષોત્રમાં આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવેશ એન. ખેર દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં જણાવાયુ છે.
