મહેસાણા
મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડના ૩૧ વેપારીઓએ વેચાણ આપેલા માલના નાણાં નહીં ચૂકવી બે કમિશન એજન્ટોએ વિશ્વાસઘાત કરી રૂ.૩.૪૯ કરોડની છેતરપિંડી આચરી હોવાની ઉનાવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઊંઝાના ઐઠોર ગામના અને ઉનાવા માર્કેટયાર્ડમાં જયવિર એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતા ચિરાગકુમાર દિલીપભાઇ મોદીએ ચારેક વર્ષથી માર્કેટયાર્ડમાં જય ગોપાલ ટ્રેડીંગ નામે પેઢી ધરાવતા વિજયસિંહ રાજપુત અને ગીરીશભાઇ પટેલ કમિશન એજન્ટ તરીકે ખેડૂતોનો માલ ખરીદતા હોઇ તેમણે એરંડા અને રાયડો વેચાણ આપ્યો હતો. જે પેટે આપેલો ચેક પર્યાપ્ત બેલેન્સના અભાવે પરત ફર્યો હતો. અન્ય ૩૦ વેપારીઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી થઇ છે.આથી વેપારી ચિરાગભાઇ મોદીએ ઉનાવા પોલીસમાં સિદ્ધપુરના ગણેશપુરા ખાતે સાનિધ્ય સોસાયટીમાં રહેતા વિજયસિંહ નટવરસિંહ રાજપુત અને સિદ્ધપુરના સુજાણપુરના ગીરીશભાઇ મફતલાલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ બંને શખ્સોએ વિશ્વાસ કેળવી રાયડો અને એરંડાના વેચાણ પેટે રૂ.૪૪,૫૩,૭૧૪નો આપેલો ચેક રિટર્ન થયો છે. તેમજ માર્કેટયાર્ડના અન્ય વેપારીઓ પાસેથી પણ આ રીતે રૂ.૩,૦૪,૫૩,૩૫૯નો માલ ખરીદી તેના નાણાં નહીં ચૂકવી કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.
