ઊના સૈયદરાજપરા ગામે આવેલ પ્રા.શાળામાંના મેદાનમાં પાંચ ફુટના ખાડામાં પાણી ભરેલુ હોવાના કારણે ગંદકી અને મચ્છોના કારણે છાત્રોને ગંભીર બિમારી થવાનો ભય રહેતો હોય આ ખાડામાં માટી નાખી તાત્કાલીક ભરતી કરી બુરવામાં આવે તેવી સરપંચે જીલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. સૈયદ રાજપરા ગામની પ્રા.શાળામાં અભ્યાસ અર્થે ગામના ગરીબ પરીવારોના છાત્રો આવતા હોય છે. અને આ પ્રા. શાળાના મેદાનમાં પાંચ ફુટનો ખાડો હોય તેમાં ચોમાસા દરમ્યાન વરસાદનું પાણી ભરાય રહે છે. ચોમાસા બાદ પણ આ ખાડામાં પાણી ભરાય રહેતુ હોવાથી ગંદકી વધતા મચ્છર જન્ય રોગો, તાવ, ચિકનગુનિયા, ડેગ્યુ જેવી બિમારી ફેલાય રહી છે. જેના કારણે શાળામાં અભ્યાસ માટે આવતા છાત્રો પર આરોગ્યની ગંભીર અસર પડી રહી છે. અગાઉ વર્ષ ૨૦૧૬માં ના.કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ તથા તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી દ્રારા સ્થળ તપાસ કરી રૂ.૧,૧૯,૧૬૫ જેટલા અંદાજીત ખર્ચ થતો હોય આ બાબતે પ્રાંત અધિકારી દ્રારા જીલ્લા કલેક્ટર ગીરસોમનાથ ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરેલ છે. તેમ છતાં આજદિન સુધી કોઇ યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી. આ બાબતે તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આથી પ્રા.શાળાના મેદાનમાં ૫ ફુટના ખાડામાં માટી નાખી ભરતી કરી બુરવામાં આવે તેવી માંગ સરપંચ ભરતભાઇ વી કામળીયાએ જીલ્લા કલેક્ટર, મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી હતી..


