વિધવા સહાય અન્ય લોકોના ખાતામાં જમા થયેલ હોય લાભાર્થીને વહેલી તકે સહાય ચુકવવામાં આવે..
ઊના – ઊના મામલતદાર કચેરીમાં આઉટસોર્સ કર્મચારી દ્રારા વિધવા સહાય સરકાર દ્રારા જે સહાય ચુકવામાં આવે તે સહાય લાભાર્થીઓને મળવાને બદલે આઉટસોર્સ કર્મચારીઓના મળતિયાના ખાતામાં જમા કરવામાં આવી હોવાનું કોંભાડ બહાર આવતા મામલતદાર દ્રારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરીયાદ નોધાવેલ હતી.
આ સંદર્ભે ઊનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશની આગેવાની હેઠળ કોંગ્રેસ સમીતી દ્રારા સરપંચો, સદસ્યો સહીતના મોટી સંખ્યામાં કાર્યકરો દ્રારા હાથમાં બેનર પોસ્ટરો લઇ વિધવા બહેનોને સહાય આપોના સુત્રોચાર સાથે મામલતદાર તેમજ પ્રાંત કચેરીએ રામધુન બોલી ડે.કલેક્ટરને રજુઆત કરી વિધવા બહેનોના ખાતામાં સહાય જમા ન થઇ હોય તેવા લાભાર્થી બહેનોના ખાતાની તાત્કાલીક અસરથી ચકાસણી કરી બહેનોના ખાતામાં વિધવા સહાયની રકમ ચુકવવા માંગણી કરી હતી.
બોક્ષ્ – લાભાર્થીઓને અન્યાય નહીં થાય…
ઊનાના મામલતદાર સાથે વાત કરતા તેમણે જણાવેલ હતું કે વિધવા સહાય યોજનામાં હાલ તમામ લાભાર્થીઓને ઘરે ઘરે જઇ સ્ટાફ દ્રારા ચકાસણી કરવામાં આવી રહી છે. અને જવાબદારો સામે પગલા ભરવામાં આવ્યા છે. અને તમામ લાભાર્થી વિધવા બહેનો સહાયથી વંચિત નહી રહે તેવું જણાવેલ હતું.


