Gujarat

કહેવાય છે કે અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી….

આ ઉકિતને સાર્થક કરી છે છોટાઉદેપુરના નાનકડા ગામની દિવ્યાંગ આદિવાસી વિદ્યાર્થીની સ્નેહા રાઠવાએ…તાજેતરમાં જ લેવાયેલ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં દિવ્યાંગ હોવા છતાં 91 ટકા માર્ક્સ મેળવી પોતાની દિવ્યાંગતાને પડકારી અપ્રતિમ સિદ્ધિ મેળવી છે. છોટાઉદેપુરની મુલાકાતે આવેલા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારે સ્નેહા અને તેના પરિવારનું સન્માન કર્યું.
   છોટાઉદેપુર તાલુકાના ચીલરવાંટ ગામના મૂળ રહેવાસી અને હાલમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની નવાકુવા ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નારણભાઇ રાઠવાની ત્રણ દીકરીઓ પેકી વચલી દીકરી સ્નેહા રાઠવા કે જેના બંને હાથના પંજા ન હોવા છતાં  તાજેતરમાં લેવાયેલ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જાતે પેપર લખી 91 % માર્ક્સ મેળવી રાઠવા સમાજ સહિત સમસ્ત દિવ્યાંગજનોનું ગૌરવ અને મનોબળ વધાર્યું છે. સ્નેહા રાઠવાની વાત કરીએ તો નાનપણમાં ધોરણ 2 ના અભ્યાસ દરમિયાન ઉતરાયણ પર્વમાં પોતાના ધાબા ઉપર પતંગ ઉડાવતી વખતે અકસ્માતે જીવંત વીજ વાયરને અડી જતા સમગ્ર શરીરે 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. સોસાયટીના રહીશો અને સ્નેહાના પરિજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ સારવાર માટે અને સ્નેહાના જીવ બચાવવા માટે તેના બંને હાથને કાંડા સુધી કાપી નાંખવામાં આવ્યાં હતાં. બનેં હાથના પંજા કાપવાની ફરજ પડી ,પોતાના બન્ને હાથ પંજા વિનાના બની જવા છતાં ખુબજ નાની વયની સ્નેહાનું મનોબળ મજબૂત હતું, નાસીપાસ થયા વિના સ્નેહાએ  પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.પ્રબળ ઈચ્છાશક્તિ સાથે સ્નેહાએ કપાઈ ગયેલ બનેં હાથ સાથે ઉચ્ચ અભ્યાસ મેળવવા માટેનો સંકલ્પ કરીને અભ્યાસ માટે સુરત ખાતે દિવ્યાંગજનોની એક સંસ્થામાં   રહીને અભ્યાસ કર્યો, અને  જ્યારે તાજેતરમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે સ્નેહાએ ખૂબ સારા માર્ક્સ સાથે પરિણામ મેળવીને પોતાના માતાપિતા સાથે રાઠવા સમાજનું અને દિવ્યનગજનોનું ગૌરવ વધાર્યું છે. સ્નેહાએ મેળવેલ આ સફળતા પાછળ નું કારણ જણાવતા કહ્યું હતું કે હાથ કપાઈ ગયા બાદ પણ તેણે મનોબળ મક્કમ રાખ્યું હતું અને સખત પરિશ્રમ કર્યો,બન્ને હાથના પંજા નથી  છતાં સ્નેહા પોતાના બન્ને હાથની કોણીઓ વડે પેન પકડીને જે રીતે અને જે ઝડપથી લખે છે તે જોઈને તમે પણ અવાક થઈ જશો…. મોતીના દાણા જેવા સ્વચ્છ અને સુંદર અક્ષરો સાથે તે ખુબજ ઝડપથી લખી શકે છે,અને એટલેજ સ્નેહા એ રાઇટર ની મદદ વિના જાતે જ પેપર લખીને એકાઉન્ટ જેવા વિષયમાં 100 માંથી 100 માર્કસ મેળવ્યા છે,હાથના પંજા વિના સ્નેહા ન માત્ર સારું લખી શકે છે પણ તે ખૂબ સારા ચિત્રો પણ દોરે છે, અને તે ન માત્ર અભ્યાસ મા નિપુણ છે ..તે પોતાના ઘરમાં કપડા ધોવા,વાસણ માંજવા, શાક સમારવા અને જમવાનું બનાવવામાં પણ એટલીજ નિપુણ છે,પોતાની દિવ્યાંગ દીકરીનું મનોબળ અને સિદ્ધિઓ ને લઈ તેના માતાપિતા પણ ગૌરવ અનુભવી રહયા છે, સ્નેહા રાઠવા આગળ ઉચ્ચ અભ્યાસ માં સ્નાતક કરી UPSC અને GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી કલાસ વન અધિકારી બની સમાજ અને દેશ રાષ્ટ્ર કરવા માંગે છે અને તેનું આ સ્વપ્નને સાકાર થશે જ તેવો તેને  દ્રઢ વિશ્વાસ છે.
       દિવ્યાંગ હોવા છતાં  સ્નેહા રાઠવાએ મેળવેલ આ સિદ્ધિને કારણે છોટાઉદેપુર જિલ્લાના ખોબલા જેવા ચિલરવાંટ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, ચિલરવાંટ ગામના સરપંચ અને ગ્રામજનોએ  પંચાયત કચેરીએ સ્નેહા અને તેના પરિવારને આમંત્રિત કરી બહુમાન કરવામાં આવ્યું સાથે સ્નેહાના પિતૃક ગામમાં રવિવારે રાજ્ય સરકારના પ્રતિનિધિ સ્વરૂપે રાજકીય પ્રવાસમાં નીકળેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ
( વડેલી) સહિત ભાજપાના હોદેદારો દ્વારા પણ સ્નેહા રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું.
        નારણભાઇ રાઠવા ને સંતાનો મા માત્ર ત્રણેય દીકરીઓ છે ,પરંતુ જે પરિવારમાં સ્નેહા જેવી દીકરી હોય એમને દીકરાની ક્યાંય ખોટ વર્તાતી નથી, સ્નેહા એ સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો …બેટી પઢાવો ના સૂત્રને પારાવાર સાર્થક કરી ન માત્ર  પોતાના પરિવાર પણ મહિલાઓ, આદિવાસી સમાજ અને દિવ્યાંગજનો માટે એક રોલ મોડલ એક આઇકોન બનીને ઉભરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220605-231326_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *