Gujarat

ગાંધીનગરથી કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પગપાળા યાત્રાળુનો અકસ્માતમાં મોત

ગાંધીનગર
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી ગાંધીનગરના પોર ગામના પટેલ વાસમાં રહેતી મનાલી ઘનશ્યામભાઈ પટેલ સહિત ગામના ૨૦ થી ૨૫ શ્રદ્ધાળુઓ સમયે ગામથી કાલુપુર પગપાળા દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે અંબાપૂરથી ઝૂંડાલ રાઘવ પાર્ટી પ્લોટ આગળથી બધા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મનાલી પટેલ અને તેની બહેનપણી રિયા પટેલ, હિના પટેલ અને ગામના હિરેન વિક્રમભાઈ પટેલ એક સાથે ચાલી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચારેયને પાછળથી ટક્કર મારીને નાસી ગયો હતો. જેનાં કારણે ચારેય દર્શનાર્થીઓ જમીન પર પટકાયા હતા. આ અકસ્માતના પગલે અન્ય પદયાત્રીઓ પણ એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિરેન પટેલને તાત્કાલિક ચાંદખેડાની એસ એમ એસ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ગંભીર ઈજાગ્રસ્ત હિરેનભાઇને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રિયા પટેલને ખાનગી વાહનમાં અત્રેની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત મનાલી અને હિના પટેલને શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાં મનાલીને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. તેમજ હિનાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ બનાવના પગલે સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિકોમાં અજાણ્યા વાહન ચાલક સામે રોષ વ્યાપી ગયો હતો. આ અંગે જાણ થતાં અડાલજ પોલીસ પણ સ્થળ પર પહોંચી મનાલી પટેલની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ગાંધીનગરના પોર ગામના ૨૦ થી ૨૫ દર્શનાર્થીઓ પગપાળા કાલુપુર જવા નિકળ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે ૪ પદયાત્રીઓને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું છે. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *