ગાંધીનગર
ગાંધીનગરના મોટા ચીલોડાની માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાંથી સરકારી અનાજના જથ્થાનું બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે માર્કેટ યાર્ડની એક દુકાનમાં દરોડો પાડીને કંટ્રોલના ઘઉં-ચોખાનાં ૫૮૦ કટ્ટા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. ૫ લાખ ૫૬ હજાર ૮૦૦નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણી અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીએ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પોલીસ મથક હદ વિસ્તારમાં અસરકાર કામગીરી કરવાની સૂચનાઓ આપી છે. જેનાં પગલે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોટા ચિલોડા ખાતે અનાજ માર્કેટમા આવેલી દુકાન નંબર ૨૨ નો માલિક ઓમપ્રકાશ ફુફારામ સુજારામ કુમાવત (રહે.ચિલોડા અનાજ માર્કેટ દુકાન નંબર ૨૪) પોતાની દુકાન ઉપર કેટલાક માણસો રાખી રાહતદરનું સરકારી અનાજ (કંટ્રોલનુ અનાજ) મંગાવીને તે અનાજને તેના ગોડાઉનમાં માર્કાવગરની કોથળીઓમા ભરીને તેને ઉંચા ભાવે વેચવાનો વેપલો કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતાં ઉક્ત દુકાનમાંથી ચોખાના ૪૦૦ કટ્ટા અને ઘઉંના ૧૮૦ કટ્ટા મળીને કુલ ૫૪૦ કટ્ટા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે દુકાન માલિક ઓમપ્રકાશ કુમાવત, પ્રકાશ શંકરભાઇ કનીયાવ(રહે.સાબલા તા.સાબલા જી.ડુંગરપુર રાજસ્થાન), મીઠીયો કાલુ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) પપ્પુ નાનુભાઇ કનીયાવ(રહે.નીઠાવાગામડી તા.સાબલ જી.ડુંગરપુર) અને પંકજ સોદન્તભાઇ કનીયાવ(રહે.પાટીયા તા.પાદડી જી.ડુંગરપુર)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અંગે ચીલોડા પીઆઈ અસારીએ જણાવ્યું હતું કે, સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. પકડાયેલ દુકાન માલિક અને આરોપીઓની પૂછતાંછમાં અનાજના બીલ કે પાવતી નહીં હોવાનું સામે આવ્યું હતું. જેથી ઘઉના કુલ ૧૮૦ કટ્ટામાં કુલ ૮૬૪૦ કિ.ગ્રામ ઘઉં તથા ચોખાના કુલ ૪૦૦ કટ્ટામા કુલ ૧,૯૨,૦૦ કિ.ગ્રામ ચોખા મળીને કુલ રૂ. ૫ લાખ ૫૬ હજાર ૮૦૦ ની કિંમતનો જથ્થો સીઝ કરીને પુરવઠા વિભાગને જાણ કરાઈ છે. આ અનાજના જથ્થાની હેરફેર માટે પાંચ મોટર સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને પણ જપ્ત કરી લેવામાં આવી છે.
