ગીર સોમનાથ
ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુ માલભાઈ વાળાએ પોતાની ખેતીની જમીનમાં અઢી વિઘામાં કલકતી તમાકુનું વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો છે. હાલ કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો સમય ચાલી રહ્યો છે અને ખેતીમાં નવતર પ્રયાસોને સરકાર આવકારવાની સાથે ટેક્નોલોજીનો લાભ લઈ ખેતી કરવા અપીલ પણ કરી રહી છે. ત્યારે અગાઉના સમય કરતા હાલ ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે. ખેડૂતો અગાઉના સમયમાં ટેકનોલોજીના અભાવના કારણે ખેતીમાં સારુ ઉત્પાદન કરી શકતા ન હતા. જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા ન હતા. જ્યારે હાલના વર્તમાન યુગમાં ખેતીમાં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખૂબ આગળ વધી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક રાજ્યથી બીજા રાજ્યના ખેડૂતો એક બીજાના સંપર્કમાં આવતા થયા છે અને ખેતીમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે. તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે.ર્ સોળાજ ગામે રહેતા મનુ વાળાએ પોતાના ખેતરમાં અઢી વિઘા જમીનમાં કલકતી તમાકુનું વાવેતર કર્યું છે. જે અંગે મનુભાઈના જણાવ્યા મુજબ અઢી વીઘામાં તમાકુનું વાવેતર કર્યું છે. જે ઘઉં, ચણા, ધાણાના પાકની સાથે જ વાવેતર થઈ શકે છે અને બે થી અઢી માહિનાના સમયગાળામાં જ પાક તૈયાર થઈ જાય છે. દવા, મજૂરી અને અન્ય ખર્ચ મળી પ્રતિ એક વિઘે અંદાજે રૂ.૧૫ હજાર જેટલો ખર્ચ થાય છે. જેની સામે પ્રતિ વિઘે અંદાજે રૂ.૬૦ થી ૭૦ હજાર સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા રહે છે. આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુ વાળાએ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વાર તમાકુનું વાવેતર કર્યુ છે.ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે એક ખેડૂત દ્વારા પ્રથમવાર કલકતી તમાકુનું વાવેતર કરવામા આવ્યું છે. આ પ્રકારનું વાવેતર જિલ્લામાં પણ પ્રથમ વખત થયાનું જાણવા મળ્યુ છે. આ વાવેતર કરનારા ખેડૂતના મત મુજબ તમાકુના વાવેતરમાં મહેનત ઓછી અને વળતર ઘણુ મળવાની શક્યતા છે. તેમજ વાવેતર પાછળ ખર્ચ પણ ઓછો આવે છે.


