પંચમહાલ
ગોધરા શહેરના આંબેડકર નગરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી ઉભરાતી ગટરો અને રસ્તામાં રેલાતા ગંદા પાણી અને અસંખ્ય મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે. અવાર નવાર નગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિક સોસાયટીના રહીશો હાલાકી ભોગવવી પડે છે. ઉભરાતી ગટરો અને રસ્તામાં રેલાતા પાણીના કારણે ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તેવું સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળેલ છે. એકબાજુ ગુજરાત રાજ્ય સહિત પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગોધરાના સૂર્ય નગર બાજુમાં આવેલી આંબેડકર નગરમાં મેઈન રોડ ઉપર એક મસમોટા ખાડા અને તેમાં ભરાયેલ પાણી અને બીજી તરફ ખુલ્લી ગટરો અને રસ્તા ઉપર રેલાઈ રહેલા ગંદા પાણી અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિક રહીશોને અહીંથી પસાર થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માટે આ સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકો નગરપાલિકા તંત્ર અને નગરપાલિકાના કોર્પોરેટર આ સોસાયટીમાં અંગત રસ લઇને અહીંના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવે તે માટે માંગ કરી રહ્યા છે.

