ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાની જળવાઇ રહે તથા મતદારો પોતાના મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ન થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઇ રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો લાગુ કર્યા છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં, સભા ભરવી નહીં કે બોલાવવી નહીં તથા રેલી કાઢી શકાશે નહીં.
ચૂંટણી સંબંધિત સભા, સરઘસ કે રેલી અંગેની પરવાનગી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ તેઓના મુખ્ય મથકના વિસ્તાર માટે તથા તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ તેઓના તાલુકા વિસ્તાર માટે સ્થાનિક પરિસ્થિતિ તથા પોલીસ ખાતાનો અભિપ્રાય મેળવી સભા, સરઘસ, રેલી વગેરેની પરવાનગી આપવાની રહેશે.
રાજકીય પક્ષો/ઉમેદવારો સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને જે સ્થળે ચૂંટણી પ્રચાર માટેની સભા રાખે તે સ્થળની અંદર જે સમય દરમિયાન સભા યોજવામાં આવે તેટલા સમયગાળા દરમિયાન બેનર્સ, હોર્ડિંગ્સ, કટ-આઉટ, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શિત કરી શકાશે. સંબંધિત રાજકીય પક્ષે/ઉમેદવારે સભા પુરી થયા પછી તુર્ત જ સભાના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલા બેનર્સ, હોર્ડિગ્સ, કટ-આઉટ, પોસ્ટર્સ વિગેરે દુર કરવાના રહેશે. સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને ચૂંટણી પ્રચાર માટે કાઢવામાં આવતા સરઘસ કે રેલીમાં પક્ષ/ઉમેદવારે આપેલ ખાસ સાધનો જેવા કે ટોપી, મહોરો, સ્કાર્ફ વગેરેનો પરવાનગી વગર ઉપયોગ કરી શકાશે નહીં.
આ આદેશ સરકારી નોકરીમાં અથવા રોજી પર હોય તે વ્યક્તિને, લગ્નના વરઘોડાને, ફરજ પર હોય તેવી ગ્રામ રક્ષકદળની વ્યક્તિઓને, કોઇ પણ સ્મશાનયાત્રાને તેમજ કોઇ પણ સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહીં.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારને તા. ૦૩/૧૧/૨૦૨૨ થી તા. ૧૦/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર