જામનગર
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા યુવાને પોતાના જીગરજાન મિત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, જેને પોતાના જીગરજાન મિત્રના આપઘાતની સાથે જ પોતે પણ આપઘાત કરી લેવો હતો, પરંતુ તેની અંતિમ વિધિ કરવા માટે જીવિત રહ્યો હતો અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ તુરત જ પોતે આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ કરજે કરી હતી.જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સિક્કામાં રહેતા પોતાના જીગરજાન મિત્રએ આજથી ૨૫ દિવસ પહેલાં આપઘાત કરી લીધો હતો, જેના કારણે જીવનમાં કોઈ રસ ન હોવાથી આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના ૨૩ વર્ષના યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજાે સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતાના મિત્ર સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલ કે જેણે પોતાને કામ ધંધો ન મળતાં ગત ૭મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી પોતે ગુમસુમ રહેતો હતો અને તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

