જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવેલ હતી.
આ બેઠકમાં જામનગર મંત્રીશ્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જામનગર જિલ્લાના ૬ તાલુકાઓ તથા ૪ નગરપાલિકાના વિકાસ કામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઇ હેઠળ રૂ.૭૧૧.૦૫ લાખના ૨૯૧ કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. ૮૯.૮૦ લાખના ૪૫ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૦.૮૫ લાખનાં કુલ ૩૪૫ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્યશ્રી ચિરાગભાઇ, કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેન્દ્ર રાયજાદા, જી.એ.ડીના નિરીક્ષક શ્રી, આયોજન અધિકારીશ્રી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યા ત્રિવેદી
