જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર ખેડૂતોના પાકમાં ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે. માણાવદરના ચુડવા ગામે કપાસના પાકમાં નેનો યુરિયાનો સફળતાપૂર્વક છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ ડ્રોન એટલે કે, કૃષિ વિમાનનું જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરપર્સન શ્રીમતી કંચનબેન ડઢાણિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી કંચનબેન ડઢાણીયાએ જણાવ્યું કે, ખેડૂતોને સતત નવી ટેકનોલોજી મળતી રહે, ભારતના ખેડૂતો વિશ્વ સાથે હરીફાઈ કરી શકે અને ખેડૂતો હંમેશા પ્રગતિના પંથે અગ્રેસર રહે તે માટેના સતત કેન્દ્ર -રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગ પ્રયત્નશીલ છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો નવી ટેકનોલોજીને ઉત્સાહપૂર્વક આવકારી અને તેનો મહત્તમ ઉપયોગ કરી પોતાની આવકમાં વધારો કરશે અને દેશના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કેન્દ્ર -રાજ્ય સરકાર તથા ખેતીવાડી વિભાગને ખેડૂતો માટે આ ટેકનોલોજી લાવવા માટે અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગૌરવ દવેએ ભવિષ્યમાં ડ્રોન ટેકનોલોજીથી ઓછા માનવબળથી, ઓછા સમયમાં વધુ છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તેવી આશા વ્યક્ત કરી હતી.
કૃષિ યુનિવર્સિટીના એગ્રોનોમી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. પી. ડી. કુમાવત દ્વારા યુરિયાનો કાર્યક્ષમ ઉપયોગ થવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાશે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકસિંહ, ચૂડવા ગામના સરપંચશ્રી, સહકારી મંડળીના પ્રમુખશ્રી તેમજ ગામના ખેડૂત મિત્રોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડ્રોનના વધામણા કર્યા.

