જૂનાગઢ
જૂનાગઢના ગીરનાર સાધના આશ્રમના આદ્યસ્થાપક સંત પુનિતાચારીજીનું આજે અવસાન થતા સમસ્ત સાધુ સમાજ અને સેવકગણોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. પુનિતાચારીજી ગીરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે પ્રખ્યાત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. આ ઉપરાંત સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. વરદાની મહામંત્ર હરિ ૐ તત્સત જયગુરુદત્તના પ્રણેતા ગીરનાર સાધના આશ્રમ જૂનાગઢના આદ્યસ્થાપક હતા. તેમના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ ઘણાં લોકો યોગ અને ધ્યાન માટે આવે છે. કોરોના કાળમાં તેઓએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. તેમના ત્રિમૂર્તિ સેવા ટ્રસ્ટ અંતર્ગત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ હતી. સંત પુનિતાચારીજીનો પાર્થિવદેહ આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો છે. ત્યારે પુનિત આશ્રમના સેવક અને પૂર્વ કલેકટર પી.વી. ત્રિવેદી અને પૂર્વ મેયર ધીરુ ગોહિલે સંત પુનિતાચારીજીના સદાચારી કાર્યોને યાદ કરી તેમને કોટી કોટી નમન કર્યા હતા. સંત પુનીચારીજીનું પાર્થિવ શરીર તા.૧૧ ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે પંચ મહાભુતમાં વિલીન થશે. તા.૧૨ મીએ શનિવારે જૂનાગઢમાં ગીરનાર સાધના આશ્રમ ખાતે પ્રાર્થના સભા સાંજે ૪ થી ૬ રાખવામાં આવી છે. ગિરનારની ગોદમાં જ ગિરનાર સાધના આશ્રમની તપોભૂમિ પર અડધી સદીથી તપશ્ચર્યા કરનારા પુનિતાચારીજી મહારાજને એ જ ભૂમિ પર ભગવાન શ્રી દત્તાત્રેયજીએ પ્રગટ થઈને દર્શન અને આશીર્વાદ આપ્યાં હતા. હિમાલયની કંદરાઓમાં ભ્રમણ કરતાં કરતાં એમણે અનેક પ્રતિતીઓ કરી, પરમ તત્વનો પૂર્ણ સાક્ષાત્કાર એમણે કર્યો હતો. ભગવાન દત્તે દર્શન આપ્યાં સાથે જ એક મંત્ર ગિરનારની કંદરાઓમાં ગૂંજ્યો હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત અને એ વિશ્વ વ્યાપી બની ગયો. તમામ ધર્મ, સંપ્રદાયના લોકો તેનો જપ કરી શકે. આ મંત્ર પછી તો ગિરનાર સાધના આશ્રમમાં તથા જ્યાં જ્યાં એના સત્સંગ કેન્દ્રો શરુ થયાં ત્યાં અને એમ ઘરે ઘરે આ મંત્ર ગૂંજવા લાગ્યો હતો. આશ્રમના અનુયાયીઓ ભારે હૈયે જૂનાગઢ પહોંચ્યા છે. એ પાવન દેહ હવે નથી પરંતુ એમના કંઠે અને હ્રદયેથી નીકળેલો હરિ ઓમ તત્સત્, જય ગુરુદત્ત મંત્ર તો હંમેશાં વાતાવરણમાં ગૂંજતો રહેશે.જૂનાગઢમાં ગીરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા સંત પુનિતાચારીજી દેવલોક પામ્યા છે. જેને લઈ તેમના સેવકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા અને વરદાની મહામંત્ર હરિ ૐ તત્સત જયગુરુદત્તના પ્રણેતા ગીરનાર સાધના આશ્રમ જૂનાગઢના આદ્યસ્થાપક હતા. તેમના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ ઘણા લોકો યોગ અને ધ્યાન માટે આવતા હતા. સંત પુનિતાચારીજીના પાર્થિવદેહને તેમના આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો હોવાથી ભક્તો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે.


