જૂનાગઢ
ગુજરાત પોલીસ પાસે ઘણા કેસો પેન્ડીંગ પડ્યા છે અને તેને સમય આવતા વોચ ગોઠવી દબોચી લેવાય છે ત્યારે બનાવટી ભારતીય ચલણી નોટોના ગુનામાં ફરાર આરોપીને જૂનાગઢ એસઓજીએ દ્વારકાથી દબોચી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની પોલીસના ઉચ્ચ અધિકારીની સૂચના બાદ એસઓજીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બનાવટી ભારતિય ચલણી નોટોના ગુનાનો આરોપી ભીખુ ઉર્ફે આદિત્ય રામજીભાઇ રાઠોડ(રહેવાસી દ્વારકા વાળો) નાસતો ફરતો હતો. ત્યારે હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન આરોપી દ્વારકામાં હોવાની બાતમી મળી હતી. બાદમાં જૂનાગઢ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા અને સ્ટાફે દ્વારકા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ પી.પી. સિંગરખીયા અને સ્ટાફની મદદથી આરોપીને દબોચી લીધો હતો. હવે આરોપીના ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવવા તેમની ઉંડી તપાસ હાથ ધરવામાં આવશે. સાથે અન્ય કોઇની ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

