જૂનાગઢ
ખેડૂતોને લાઇનોમાંથી મુક્તિ આપવા યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી બિયારણ ખરીદતા ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની સિસ્ટમ અમલી બનાવેલ છે. બાદમાં તેનો ઓનલાઈન ડ્રો કરી પસંદ થયેલ ખેડુતોને તેમના મોબાઈલ પર જ મેસેજથી જાણ કરવામાં આવતી હતી. જેથી ખેડૂતોને યુનિવર્સિટીએ ધક્કો થતો બંધ થયો હતો. તેમજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી પણ છુટકારો મળ્યો હતો. યુનિવર્સિટીનો મેસેજ મળતા ખેડૂતો આવી નાણા ભરી પોતાનું બિયારણ મેળવી લે છે. તેવી જ રીતે આ વર્ષે પણ મગફળીની વિવિધ જાત અને સોયાબીનનું બિયારણ ખરીદવા કૃષિ યુનિવર્સિટીએ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરેલ જેમાં ૧૮,૬૬૮ અરજીઓ મળી છે. અરજી કરનારા ખેડૂતોને હાલ બિયારણનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સર્ટીફાઇડ બિયારણ ખરીદી કરવી હોય તેઓ માટે ઓનલાઇન જાહેરાત કરવામાં આવી હતી. જેના બિયારણ ખરીદવા માટે ૧૮,૬૬૮ ખેડૂતોની અરજીઓ યુનિ.ને મળી છે. જે ખેડૂતોએ અરજી કરેલ તેમને મગફળી અને સોયાબીનનું બિયારણ વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. અગાઉ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વિવિધ સર્ટિફાઇડ બિયારણ ખરીદવા માટે રાજ્યભરમાંથી ખેડૂતોનો ધસારો રહેતો હતો. બિયારણ વેચાણની જાહેરાત થતા જ ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉમટી પડતા અને બિયારણ ખરીદવા લાઈન લગાવતા જાેવા મળતા હતા. ક્યારેક તો ખેડૂતો રાત્રીના સમયે યુનિવર્સિટી ખાતે આવી જતા હતા.
