જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોકચાળાની અગમચેતીના ભાગરૂપે સફાઈ દવા છંટકાવવાની ઝુંબેશ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે.
વરસાદ બાદ પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર, જિલ્લાની નગરપાલિકાઓમાં સાફ-સફાઈ કાદવ કિચડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા થોડા દિવસથી જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદ બાદ રોગચાળો ફાટી ન નીકળે, માખી મચ્છરનો ઉપદ્રવ ન થાય એ માટે તંત્ર દ્વારા સફાઈ, દવા છંટકાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર, તેમજ નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે.
કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ હવે વાતાવરણ ચોખ્ખું બનતા જંતુનાશક દવાઓનો છંટકાવ, મેલેથીન પાવડરના છંટકાવની કામગીરી, કાદવ કિચડને દૂર કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

