જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે આવતીકાલે સ્ટાર્ટ અપ વિષય પર અધિકારીઓ માટે સેન્સીટાઈઝેશન વર્કશોપ યોજાશે.
તારીખ ૨૦ સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ હોલ, બલિયા ભવન, જયશ્રી ટોકીઝ પાસે સાંજે ૪ કલાકે ગુજરાત અને ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ ગાંધીનગરની ટીમ દ્રારા રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ માટે સેન્સિટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય તેની ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતું છે. તેના કારણે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં સૌથી વધુ આકર્ષક કેન્દ્રો પૈકી એક તરીકે ઉભર્યું છે. સ્ટાર્ટઅપ ગુજરાત એક એવો મંચ છે. જે સૌને સંગઠિત કરે છે. તેમનું મૂલ્યાંકન કરે છે. સ્ટાર્ટઅપ્સને સંશોધન માટે પ્રેરિત કરીને તેને સહયોગ આપવા માટે એક મંચ પૂરું પાડી અને સંશોધનોને પ્રોત્સાહન આપીને તેમને ઇનોવેટિવ બિઝનેસ શરૂ કરાવે છે.
આર્થિક પ્રગતિમાં સ્ટાર્ટઅપ તથા ઇનોવેશન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.રોજગારીનું સર્જન કરવા ઉપરાંત સ્ટાર્ટઅપ સુયોગ્ય તથા ભવિષ્યમાં ઉપયોગી ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના કારણે સંશોધનને પ્રેરિત કરે અને તેના દ્વારા સ્પર્ધા ઉભી થવાથી આર્થિક ગતિશીલતા આવે છે.
ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૧૫ હેઠળ સ્ટાર્ટઅપ પહેલે નોડલ સંસ્થાઓનું એક મજબૂત નેટવર્ક ઊભું કરવામાં સહાય કરી છે. તેના હેઠળ અનેક સ્ટાર્ટઅપ પહેલ તેમની કામગીરી અને ઉત્પાદનોનો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે વિસ્તાર કરી શક્યા છે. ગુજરાત સરકારશ્રીનો મુખ્ય હેતુ સંશોધન અને વિકાસ સ્ટાર્ટઅપમાં નવીનતા તથા ઉદ્યોગ સાહસિકતા અને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટાર્ટ અપની કામગીરીની પ્રક્રિયા દરમિયાન તેને મદદ કરવા માટે અને નવીનતા લાવવા માટે નવી યોજના દાખલ કરવામાં આવી છે. એમ જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડીએમ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.
