શહેરમાં તમામ સ્ટ્રીટ લાઈટોનાં ખુલ્લા વાયર જોખમી અકસ્માતે જાનહાનિ સર્જાઈ એ પહેલાં કાર્યવાહી જરૂરી.
શહેરમાં ચોમાસાની સિઝન હોઈ અને ૨૪ કલાક ભેજવાળું વાતાવરણ પણ રહે છે તેવામાં શોર્ટ સર્કિટ તથા કર્ટ લીકથવાની શક્યતા વધી જાય છે.ખાસ કરીને ચોમાસામાં સ્ટ્રીટ લાઇટના થાંભલાના ખુલ્લા વાયર જોખમી બન્યા છે .વરસાદમાં આવા ખુલ્લા વાયર તેમજ તંત્રના કારણે અકસ્માત સર્જાય તો નવાઈ નહીં.
જેતપુર શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જો કે જેતપુર નવાગઢ નગરપાલિકા એ ગ્રેડની પાલિકા હોય પરંતુ પાલિકાના કર્મચારીઓ આગ લાગે ત્યારે કુંવો ખોદવા ટેવાયેલા છે. પાલિકાના કહેવાતા સ્માર્ટ અધિકારીઓ ઘોર બેદરકારી માટે પંકાયેલા છે. તાજેતરમાં પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓની બેદરકારી સડકો પર જોવા મળે છે. શહેરના હાર્દ સમા મુખ્ય માર્ગના ડિવાઈડર પર લાઈટના થાંભલા પર વાયરો ખુલ્લા છે.મુખ્ય રોડ ઉપર રોજના હજારો વાહનો પસાર થાય છે.
શહેરજનોને રાતના અંધારામાં અજવાળું પાથરવા માટે જેતપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઈટ સાંજના સાત વાગ્યે ચાલુ થાય અને વહેલી સવારના સાડા પાચ વાગ્યે બંધ થઇ જાય છે . વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે હવેઆ સ્ટ્રીટ લાઇટ શહેરીજનો માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે .શહેરના પોશ વિસ્તારથી લઇને બહારના વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલાના વીજ વાયરો તેમજ બોકસો ખુલ્લાં જોવા મળ્યા છે . ઉલ્લેખનીય છે કે જેમ જેમ વરસાદ પડશે અને રોડ ઉપર પાણી ભરાશે તેમ તેમ સ્ટ્રીટ લાઈટ તથા સેક્શન પિલરમાં ખુલ્લા વાયરના કારણે શોર્ટ સર્કિટ તથા કરંટ લીક થવાની શક્યતા વધી જશે.શહેરમાં મુશળધાર વરસાદ પડે છે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ જાય છે.આવી સ્થિતિમાં જો સ્ટ્રીટ લાઇટના વાયર ખુલ્લા હોય તો કરંટ આવવાની શક્યતા વધી જાય છે .
શહેરની મધ્યમાં સરદાર ચોક,તીન બત્તી ચોક, સહિત વિસ્તારમાં હાઇટમસ મસમોટા સ્ટ્રીટ થાંભલાઓમાં પણ વાયરો ખુલ્લા જોવા મળે છે.તેમજ તમામ સ્ટ્રીટ લાઇટના મોટાભાગના વીજપોલમાં બોક્સ ખુલ્લા જોવા મળી રહ્યાં છે. તેમાં વાયરો બહારથી લટકી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ અંગે આગેવાનો તેમજ સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે અકસ્માતે જાનહાનિ ન સર્જાય તે પહેલા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ તેમજ આગેવાનોએ માંગ કરી છે.
આ અંગે જેતપુર નગરપાલિકાના ઈલેક્ટ્રીક શાખાના ઇન્સ્પેક્ટર હાર્દિક ટાટમિયાએ સ્વીકાર્યું હતું કે શહેરમાં સ્ટ્રીટ લાઇટોના થાંભલામાં વાયરો ખુલ્લા છે હાલ ચોમાસાનો સમય છે નગરપાલિકા પાસે નવા વીજપોલ તેમજ નવી સ્ટ્રીટ લાઇટોની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોય જે તેમનું કામ બે મહિના બાદ કરવામાં આવશે હાલ જે જગ્યા ઉપર વાયરો ખુલ્લા છે તે જગ્યા પર નગરપાલિકાના મિકેનિકને મોકલી રીપેર કરવામાં આવશે. તેમજ વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર

