અમદાવાદ
રાજ્ય સરકારે દોઢ લાખ જેટલા રેમડેસિવિર ઇન્જેકશન માટે ટેન્ડર બહાર પાડયુ હતું. ત્રીજી લહેર માટે બધી તૈયારીઓ છે એમ કહેતું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને હવે કોરોના માટે અસરકારક ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ખરીદવાનું યાદ આવ્યું છે. આ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં કેટલા વાયલ ખરીદવામાં આવશે તેના જથ્થાની વિગત કે તેની રકમ દર્શાવવામાં નથી આવી માત્ર કોરોનાના ઇન્જેક્શન ખરીદવામાં આવનાર છે તેની જ માહિતી આપવામાં આવી છે. ઇન્જેક્શન પુરા પાડવા માટે ઓનલાઈન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ અને આ ટેન્ડર ૨૪ જાન્યુઆરીએ બપોરે બાર વાગ્યા સુધી ફિઝિકલ રજુ કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે જ ઓનલાઇન ટેકનિકલ બીડ યોજવામાં આવશે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૪૩૪૦ અને જિલ્લામાં ૬૯ મળીને કુલ ૪૪૦૯ કેસ નોંધાયા છે. ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી ૩૯૮૬૯ કેસ આવ્યા છે, જેમાં ૨૪૧૧૫ કેસ માત્ર ૧૧થી ૧૭ જાન્યુઆરીમાં આવ્યા છે. આમ ૬૦ ટકા કેસ માત્ર ૭ દિવસમાં આવ્યા છે. સોમવારે ૧૯૬૫ દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં હાલમાં કુલ ૧૧૧ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ છે. ૧લી જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ ૬ દર્દીના મોત થયા છે.શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨ લાખ ૮૦ હજાર ૧૨૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૨ લાખ ૫૧ હજાર ૪૪૬ દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને ૩,૪૧૮ થયો છે.રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર કરતા બે ગણી ઝડપથી આ કેસો વધી રહ્યા છે. જાેકે બીજી લહેરની જેમ આ વખતે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. બીજી લહેર દરમિયાન સર્જાયેલ ઇન્જેક્શન અછતની જેમ આ વખતે પણ ઇન્જેક્શન મેળવવા માટે લોકોને તકલીફ ન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અચાનક કોરોનાની સારવાર માટે અસરકારક ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ખરીદવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જાે કે કેટલા વાયલ ખરીદવાના છે તે હજી સુધી ટેન્ડરમાં નક્કી કરવામાં આવ્યું નથી. તેમજ તેની રકમ પણ નક્કી કરવામાં આવી નથી. ટેન્ડર ખુલ્યા બાદ ઇન્જેક્શનના વાયલ ખરીદવા અને તેની રકમ નક્કી કરવામાં આવી શકે છે. બીજી તરફ આ ટેન્ડર બહાર પાડવામાં આવતા સવાલ ઊભો થઈ રહ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં તમામ હોસ્પિટલો દવાઓ વગેરે તૈયાર હોવાની વાતો કોરોનાની ત્રીજી આવી એ પહેલાની કરી રહી હતી. ત્યારે હવે ત્રીજી લહેર જ્યારે અડધી પૂર્ણ થવાના આરે છે તેમજ અત્યારે કોરોનામાં દર્દીઓ હળવા લક્ષણો ધરાવે છે અને હોમ આઇસોલેશનમાં લોકો છે. સરકાર પાસે પૂરતા ઇન્જેક્શનો છે તો પછી કોર્પોરેશન તંત્ર શા માટે કોરોનાના નામે ઈન્જેકશન ખરીદી રહી છે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાની ત્રીજી લહેર માટે વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.


