રાજપીપળા
તિલકવાડા વિસ્તારમાંથી ટ્રેકટર અને છોટા હાથી ટેમ્પોની બેટરીઓ ચોરી થતા તિલકવાડા પોલીસે આ ગુનાને ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન તિલકવાડા પોલીસ મથકના એએસઆઈ તથા પોકોને એક બાતમી મળી હતી જેના આધારે દેવલિયાના મૌલિકગીરી ગોસ્વામીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી યુવાનની ઉલટ તપાસ હાથ ધરી હતી. અટકાયત કરેલા યુવકની પૂછતાછ દરમિયાન તેણે વાહનોની બેટરીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં તિલકવાડા પોલીસે મૌલિકગીરી પ્રવીણગીરી ગોસ્વામીને પૂછ્યું કે, તું ચોરી કેમ કરે છે તો યુવાને પોલીસને જવાબ આપ્યો કે, સાહેબ શું કરું, છેલ્લા ૨ મહિનાથી હું બેકાર અને બેરોજગાર છું, મારી પાસે વાપરવાના પણ પૈસા ન્હોતા એટલે મેં આ વાહનોની બેટરીઓ ચોરી કરી હતી. તિલકવાડા પોલીસે એ યુવાન પાસેથી ૧૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહેલા યુવાનો હવે કંઈપણ કરવા મજબુર બની રહ્યા છે. નર્મદા જિલ્લામાં બેરોજગાર યુવાનો હવે ચોરી કરવા પર મજબુર થયો હોવાનો એક કિસ્સો નર્મદા જિલ્લામાં બનવા પામ્યો છે. છેલ્લા ૨ મહિનાથી બેરોજગાર યુવાને વાહનોની બેટરીઓ ચોરી કરી હતી દરમિયાન તિલકવાડા પોલીસે એને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.


