ગાંધીનગર
પાટીદાર નેતા હાર્દિક પટેલે કેસરિયો કરી લીધો છે. હાર્દિક પટેલે પોતાના ઘરેથી દુર્ગા પુજાથી શરૂ કરીને કમલમ સુધી ઢોલ નગારા સાથે ભવ્ય રોડ શો કરીને પહોંચ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં હાર્દિકની સાથે રાજકીય, સામાજિક આગેવાનો અને સંતો-મહંતો કાર્યક્રમમાં પહોંચ્યા હતા પાટિલે કમલમ ખાતે હાર્દિકને ખેસ અને નીતિન પટેલે ટોપી પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જાેડાયેલા હાર્દિક પટેલે પાટીદારોને એક વચન આપ્યુ. જેમાં તેમણે કહ્યુ કે પાટીદાર આંદોલનમાં શહીદ થનારા પાટીદારો યુવાનોના પરિવારને ૨ મહિનામાં નોકરી અપાવીશ. જ્યારે ભાજપને વચન આપ્યું હતું કે દર ૧૦ દિવસમાં અનેક લોકોને પાર્ટીમાં જાેડીશ. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોનો જવાબ આપ્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, હું અહીં રાજા નહીં પણ સૈનિક બનીને કામ કરીશ. હું અહીં રામસેતુની ખિસકોલી બનીને કામ કરવા માંગું છું. તેમણે ઉમેર્યું હતું કે, હું કોંગ્રેસ સાથે રાષ્ટ્ર હિતના કાર્ય કરવા જાેડાયો હતો પરંતુ તે દિશામાં કોઈ કામ ન થતા મેં દુખી થઈને તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક પટેલ સાથેની વાતચીત દરમિયાન તેમણે એક મોટો દાવો કર્યો છે. હાર્દિક આગામી સમયમાં કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમણે જણાવ્યું કે, આજે હું ભાજપમાં જાેડાયો છું, પરંતુ મારું કામ અહીં પુરું થઈ જતું નથી, હું આગામી સમયમાં દર ૧૦ દિવસે લોકોને ભાજપમાં જાેડવાનો પ્રયાસ કરીશ. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રહિતના ભગીરથ કાર્યમાં જે પણ લોકો કોંગ્રેસ અથવા તો અન્ય રાજકીય પાર્ટી પર ભરોસો રહ્યો નથી. તેવા તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, હોદેદારો, ધારાસભ્યો અને સંગઠનના હોદેદારોને ભાજપમાં જાેડવાનો પ્રયાસ કરીશું. હાર્દિકે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રસ સહિત અનેક પાર્ટીમાં એવા ઘણા નેતાઓ છે જે પોતાના સમાજ માટે સેવાનું કામ કરવા માંગે છે, પરંતુ તેમની પાર્ટી તેમને તે કામ કરવા દેતી નથી. ત્યારે હું ગુજરાતના એવા લોકોને શોધી શોધીને ભાજપની વિચારધારા સાથે જાેડાવાના પ્રયાસ કરીશ. હાર્દિક પટેલે આજે કમલમ અને એસજીવીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું પીએમ મોદીના ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર હિતના કાર્યમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ.
