અમરેલી
સૌના પૈસાની રખેવાળી કરનાર બેંકના જ કર્મચારીએ લાખોની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઈ અમરેલીના દામનગરમા એસબીઆઇમા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મુળ બિહારના યુવાને બેંકમાથી રૂપિયા ૨૫.૨૩ લાખની ઉચાપત કરતા તેની સામે ફોજદારી ગુનો નોંધાયો છે. દામનગર એસબીઆઇમા મેનેજર તરીકે નોકરી કરતા અને કુંભનાથ સોસાયટીમા રહેતા દેવેન્દ્રભાઇ રોહિદાસ પાટીલે આ બારામા દામનગરમા પટેલવાડી પાછળ રહેતા મુળ બિહારના રાજકુમાર વાસુદેવ શર્મા સામે પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે રાજકુમાર શર્મા અહીથી એસબીઆઇ શાખામા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણે ગત ૧૫/૫ની સવારથી લઇ ૧૯/૫/૨૦૨૨ની સાંજ સુધીના સમયગાળામા આ ઉચાપત કરી હતી. કેશીયરે સીડીએમ મશીનમા રહેલી રૂપિયા ૨,૫૮,૭૦૦ની રોકડ પોતે લઇ લીધી હતી. ઉપરાંત બેંકના કેશ એકાઉન્ટમાથી રૂપિયા અઢી લાખ લઇ લીધા હતા. આ ઉપરાંત સીડીએમ મશીનમા જમા કરાવવા માટે બેંકમાથી ૨૧.૬૫ લાખની રોકડ મેળવી લીધી હતી. આટલી રકમ ચાઉં કરી ગયા બાદ તેણે દોઢ લાખની રકમ બેંકમા પરત જમા પણ કરાવી હતી. કુલ ૨૫.૨૩ લાખની ઉચાપત અંગે તેની સામે ગુનો નોંધાતા પીએસઆઇ એચ.એચ.સેગલીયાએ તપાસ શરૂ કરી છે.


