દાહોદ
રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધા જ ગરીબ પરિવારો સુધી પહોંચે તે માટે જિલ્લાના ૬૮ હજાર ૫૦૦થી પણ વધુ ગરીબોને રૂ. ૩૮૦.૬૮કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો આ ગરીબ કલ્યાણ મેળા થકી મળી રહે તે માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્રે કર્યું છે. રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને મળવાપાત્ર લાભો તેમને હાથો-હાથ આપવાના આશયથી વર્ષ ૨૦૦૯-૧૦થી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. સતત ૧૩ વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લીધે મોકૂફ રખાયું હતું. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ૨૪થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન દરેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેના અંતર્ગત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રી કરશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૨૪ ફેબ્રુઆરીએ દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાભાર્થીઓ સાથે સંવાદ સાધશે, તેમજ લાભાર્થીઓને સાધન સહાય વિતરણનો પણ પ્રારંભ કરાવશે. દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાને યોજાનારા કાર્યક્રમમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં મહાનુભાવોના હસ્તે સમાજ સુરક્ષા યોજના, માનવ ગરિમા યોજના, લાભાર્થી કીટ સહિત અનેકવિધ યોજનાઓના લાભ આપવામાં આવશે.


