નડિયાદ
નડિયાદના કણજરી ગામે રોડ પર આવેલ એક ફેક્ટરીની ઓરડીના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ અહીયાથી વિવિધ લોખંડની સામગ્રી આશરે ૧૫૦૦થી ૧૭૦૦ કીલો વજનની કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે. નડિયાદમાં આઈજી માર્ગ પર રહેતા ૬૩ વર્ષીય યોગેશભાઈ અરવિંદભાઈ પટેલની પાર્થ સ્પન પાઈપ નામની ફેક્ટરી કણજરી ગામે આવેલ છે. અહીંયા આરસીસી પાઇપ તથા સિમેન્ટ આર્ટીકલ્સ બનાવવાની ફેક્ટરી છે. ૬ સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની ફેક્ટરી બંધ કરી સાંજે પોતાના ઘરે આવ્યા હતા. આ બાદ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ આ ફેક્ટરીને નિશાન બનાવી અંદર ચોરી કરી છે. ફેક્ટરીમાં આવેલ ઓરડીના દરવાજાનો નકુચો તોડી ઓરડી અંદર મુકેલ વાયર બંડલ તથા એક મીટરના લોખંડના સળિયા તથા ફર્માની રીંગો મળી આશરે લોખંડની સામગ્રી ૧૫૦૦થી ૧૭૦૦ કીલો વજનની કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બીજા દિવસે સવારે અહીંયા કામ કરતા કર્મીને ચોરીની જાણ થતા તેઓએ ફેક્ટરીના માલિકને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ફેક્ટરીના માલિક યોગેશભાઈ પટેલ તુરંત બનાવ સ્થળે દોડી આવી સમગ્ર ઘટના સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


