પાલનપુર
પાલનપુર નજીકનું કાણોદર બનાસકાંઠાનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં ૨૫૦થી વધુ એનઆરઆઈ છે. દરેક ઘરમાંથી એક વ્યક્તિ સરકારી નોકરી કરે છે, પાછલા કેટલાક વર્ષોથી યુવાનો વધુ અભ્યાસ અને કારકિર્દી અર્થે અન્ય દેશોમાં જઈ રહ્યા છે. ગામના સરપંચ ઝાહિરભાઈ કહે છે, ગામમાં ૨૫૦૦થી વધુ પરિવારો છે. ગામની મોટાભાગની વસ્તી શિક્ષણમાં આગળ છે. શાળાઓ સહિતની જગ્યાઓ પર વિદેશમાં રહેતા ગામવાસીઓ દાન આપે છે. ગામમાં સૌથી વધુ દાન આપ્યું છે તે પ્રાથમિક શાળા નં.૧ના આચાર્ય નરેશભાઈ જાેશીએ જણાવ્યું કે, કાણોદર ગામના માત્ર ૪ પરિવારોએ સ્કૂલને ૧૭ લાખ દાન આપ્યું છે. જેમાં મર્હુમ માવજીભાઈ નુરમામદ અમી મર્હુમ મરિયમબેન મામજીભાઈ અમીના પરિવારજનોએ રૂ.૩ લાખ, મર્હુમ ડો. મહમદભાઇ નૂરભાઈ પોલરાના પરિવારજનોએ રૂ.૩ લાખ, મર્હુમ મામજીભાઈ અલીમદ મુખી પરિવાર દ્વારા શાળામાં મલ્ટીમીડિયા હોલ માટે રૂ.૫ લાખ, જાવેદ હુસૈન મહંમદભાઈ મુસા પરિવાર દ્વારા રૂ.૩ લાખ તેમજ બંદે ખુદાના નામથી રૂ.૩ લાખ મળી રૂ.૧૭ લાખનું દાન એનઆરઆઈ દ્વારા મળ્યું છે.જ્યારે પાલનપુરની બાદરપુરા સ્કૂલમાં સીસીટીવી કેમેરા માટે રૂ.૮ લાખ, ખોડલાની સ્કૂલમાં એનઆરઆઈ ડોક્ટરએ રૂ.૨૯ લાખ દાન આપ્યું છે.
