*વાહનચાલકો અને વાહનમાં બેસનાર તમામે માસ્ક પહેરવું ફરજીયાત—ASP શ્રી સુશીલ અગ્રવાલ*
હાલ દેશમાં કોવિડ-૧૯ના વધતાં જતાં વેરિયન્ટના કારણે ફરી કોરોના એ માથું ઉચક્યું છે ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે પાલનપુર જૂની આર.ટી.ઓ. કચેરી ખાતે રીક્ષા ચાલકો અને ટેક્ષી ચાલકોની કોરોનાની સાવચેતી માટે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા અને આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલની ઉપસ્થિતમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસના વધતાં કેસોને કેવી રીતે અટકાવવા અને શહેરમાં બીજા કેસો ના વધે તે માટે શું સાવચેતી લેવી જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુર પ્રાંત અધિકારીશ્રી ગિલવાએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરની અસરોથી બચવા માટે આપણે બધાએ પોતાનું અને બીજાનું ધ્યાન રાખીને કોવિડ એસ.ઓ.પી.નું પાલન કરીએ, માસ્ક ફરજીયાત પહેરીએ તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો. કોરોનાની ત્રીજી લહેરને ફેલાતી અટકાવવા વાહન ચાલકોએ પોતાની ઓટો કે ટેક્ષીમાં માસ્ક પહેરલ મર્યાદિત પેસેન્જરને જ બેસાડવા તેમણે અપીલ કરી હતી. જેથી કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય અને લોકોમાં પણ જાગૃતતા લાવી શકાય.
આ બેઠકમાં આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલે જણાવ્યું કે વાહનચાલકો અને વાહનમાં બેસનાર તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. તેમણે કહ્યું કે, ફક્ત ૫ રૂપિયાનું માસ્ક તમારી જિંદગી બચાવી શકે છે સાથે જ તમારા પરિવારને પણ બચાવી શકે છે. મર્યાદીત સંખ્યામાં જ ઓટો રીક્ષા અને ટેક્ષીમાં પેસેન્જરને બેસાડવાનો આગ્રહ રાખીએ. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રને સહકાર આપવા તેમણે જણાવ્યું હતુ.
આ બેઠકમાં પી.આઈ.શ્રી જે.પી.ગોસાઇ, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર તથા પોલીસ જવાનો તેમજ પાલનપુર શહેરના રીક્ષા ચાલકો અને ટેક્ષી ચાલકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

