પાલનપુર
કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમની આખા દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે, પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમની ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી અર્જૂનસિંહ ચૌહાણના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મિશન મંગલમ, મુદ્રા યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રા)/ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મનરેગા હેઠળ પંચાયત ભવન અને તલાટી આવાસ, ફ્રી પાસ યોજના ગ્રામીણ, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજવ્વલા યોજના, પોષણ અભિયાન, જળજીવન મિશન ઃ નલ સે જલ, વ્હાલી દિકરી યોજના, કુંવરબાઈનું મામેરુ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામવિકાસ મંત્રીએ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે કેન્દ્ર અને રાજ્યોમાં નવી અસરકાર પદ્ધતિ વિકસાવીને પ્રજા સુધી સરળ રીતે સુવિધાઓ પહોંચાડી છે. કોરોના કાળમાં પણ કેન્દ્ર સરકારે ગરીબોને મફત અનાજ પૂરું પાડ્યું છે. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન થકી લોકોને કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. શાળામાં અભ્યાસ માટે દિકરીઓને સાયકલ આપવામાં આવે છે. ગરીબ ઘરની બહેનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઉજ્જવલા યોજના અંતર્ગત ઘરે ઘરે ગેસ કનેક્શન આપ્યા છે. ખેડૂતોની ચિંતા કરી “સોઇલ હેલ્થ” કાર્ડ, સબસીડી, ખેડૂતોના હક્કનું ખાતર અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતના ખાતામાં સીધા ૨૦૦૦ રૂપિયાની સહાય, ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવામાં આવી રહી છે. આમ તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારે સમુચિત વિકાસ કરી વિશિષ્ટ ઉપલબ્ધીઓ મેળવી છે. સાંસદ પરબત પટેલે કહ્યું હતુ કે, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૮ વર્ષમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ સારી કામગીરી થઈ છે. લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની છત મળી છે. કોરોના જેવી મહામારીમાં પણ વડાપ્રધાનશ્રીએ જનધન યોજના અંતર્ગત બહેનોના ખાતામાં રૂપિયા જમા કર્યા હતા. તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ આજે ગંભીર બિમારીમાં સરકારી દવાખાનાઓમાં મફત સારવાર મળી રહી છે. કોરોના કાળમાં રસીકરણ, નલ સે જલ યોજના અંતર્ગત આજે નપાણીયા વિસ્તારમાં પણ નળના કનેશન મળ્યા છે.


