રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ 10 થી 12 માર્ચ, 2022 દરમિયાન નડિયાદ ડુમરાલ રોડ પર આવેલ પાસ્ટોરલ સેન્ટર ખાતે પીપલ એસ.જે. સાથે સંકળાયેલી અમદાવાદ, સુરત, વિદ્યાનગર, મોડાસા, ભિલોડા, રાજપીપળા અને સોનગઢમાં કાર્યરત આઠ સંસ્થાઓના 75 જેટલા કર્મશીલો માટે ‘રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020’ પર ત્રિદિવસીય કાર્યશાળા યોજાઇ હતી.
પ્રસ્તુત કાર્યશાળામાં રિસોર્સ પર્સન તરીકે પ્રથમ બે દિવસ માટે ઉપસ્થિત રહેલા શ્રી જોસેફ પટેલિયા તથા જાનીસાર શેખ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 ને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી જેમાં પ્રસ્તુત નીતિ કેવી રીતે ફાયદાકારક રહેશે ને તેની માઠી અસરો કયા વર્ગને થશે તે સંદર્ભે લોકમત કેળવવામાં આ બન્ને કર્મશીલો સફળ રહ્યા હતા.
બીજા દિવસનું અંતિમ સેશન સોનગઢ ખાતે આવેલી ‘શક્તિ’ સંસ્થાના નિયામક રમેશભાઇ તડવી દ્વારા સંચાલિત થયું હતું જેમાં તેમણે પેસા કાયદામાં રહેલી જોગવાઈઓને બારીકાઈથી સમજાવી હતી. કર્મશીલો માટે ક્ષમતા વર્ધક ગણાતા આ વર્કશોપના અંતિમ દિવસનું અંતિમ સેશન ડીબેટ સમુ હોવાથી ઉપસ્થિત સહુએ ભરપૂર રસ દાખવ્યો હતો.
વર્કશોપના ત્રણેય દિવસો દરમિયાન PSJ ના કોરડીનેટર ફાધર આઇઝેક દ્વારા જરૂર જણાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવસર્જન સુરતના ડાયરેક્ટર ફાધર રાજીવ તથા આશાદીપ વિદ્યાનગરના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા.


