છોટાઉદેપુર જિલ્લાના સીમલફળિયા ગ્રામ પંચાયતના માલધી ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામના જન્મદિવસની ઉજવણી અને પ્રધાનમંત્રીના ૧૧ મુદ્દા અમલીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પ્રભારીમંત્રી નિમિષાબેન સુથાર રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ સહિત જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ , જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘ , માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા હાજર રહ્યા હતા. ઢોલ-નગારાના તાલ સાથે નાના બાળકો અને મહિલાઓની વિશાળ સંખ્યા સાથે ગામના ચોક થી પ્રાથમિક શાળા સુધી પ્રભાતફેરીનું યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં શરૂઆતમાં નાના બાળકોના હસ્તે ગામના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કાપવામાં આવી હતી. આ સમયે યુવાઓએ ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ પછી ગામના નિવૃત કર્મચારીઓ તેમજ વિધવાઓ અને ગામના વયોવૃદ્ધોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધિત કરતા મંત્રીએ ગામમાં શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટીતંત્ર અને માલધી ગામના ગ્રામજનોને બિરદાવ્યા હતા. આ સાથે જ તેઓએ સરકારની અનેક યોજનાઓની અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડીને સાચા અર્થમાં છેવાડાના માનવીના વિકાસને રાજ્ય સરકારે સુનિશ્ચિત કરીને વડાપ્રધાનના સ્વપ્નને ચરિતાર્થ કર્યું હોવાનું જણાવ્યું. ‘ગામનું પાણી ગામમાં અને સિમનું પાણી સીમમાં’ ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે પાણી સંગ્રહ બાબતે સૌ ગ્રામજનોએ ધ્યાનપૂર્વક અમલ કરવા વિશેષ ધ્યાન દોર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


