Gujarat

ભરૂચ પોલિટેકનિક કોલેજમાં પાણીની પરબ અંગે એનએસયુઆઈની તંત્રને રજૂઆત

ભરૂચ
હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે, ભરૂચ જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, જેને લઈ જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ઉનાળામાં ખાસ કરી શરીરને ઠંડક મળી રહે તે માટે સૌ કોઈ ઠંડા પાણીનું સેવન કરતા હોય છે, પરંતુ ભરૂચમાં એવા કેટલાય જાહેર સ્થળો છે, જ્યાં પાણીની પરબો અને કુલરો છે પણ તેની જાણવણી ન થવાના કારણે હાલ બંધ અવસ્થામાં જાેવા મળી રહ્યા છે. આ જ પ્રકારનું એક સ્થાન ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજનું છે, આ એ જ ભરૂચની કોલેજ છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરવા માટે રાત દિવસ મહેનત કરી દૂરદૂરથી અહીંયા આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ કોલેજને ભરૂચના રાજકિય નેતાઓ પણ ખૂબ સારી રીતે ઓળખે છે, કારણ કે અહીંયા એ નેતાઓ પણ આવતા હોય છે અને મતગણતરીના સમયે તેમની તરફેણમાં મત કેટલા મળ્યા છે તેના સારા પરિણામોની આશા રાખી વિજયી બની અહીંયાના ગેટ પરથી સરઘસ કાઢીને જતા હોય છે. જેથી હવે કોલેજમાં પરબ અને કુલરો ચાલુ કરવાની માંગ હવે તીવ્ર બની છે.સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ ભરૂચની કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે. ત્યારે આટલા આકરા તાપમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં પાણી વગર વલખાં મારવાં પડી રહ્યાં છે અને ના છૂટકે વેચાતું પાણી લાવી પોતાની તરસ છીપાવવી પડી રહી છે. કોલેજમાં પાણી માટેની આ અસુવિધાને લઈ એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે, અને કોલેજના તંત્રને રજૂઆત કરી આ પરબ અને કુલરો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. જાે આ પરબો અને કુલરો રાબેતા મુજબ ચાલુ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોલેજ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *