ભુજ
વિશ્વભરમાં ૨૦ માર્ચ, ૨૦૧૦ના વર્ષથી ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી ત્યારથી આજના દિવસને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. એક સમયે માનવ વસ્તી સાથે હળી મળીને રહેતું આ પક્ષી નામશેષ થઈ રહ્યું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી ચકલીઓની સંભાળ લેવામાં આવતા તેની વસ્તીમાં વધારો થયો હોવાનું જાેવા મળી રહ્યું છે. નોંધનીય છે કે ભુજ શહેર ખાતે આવેલી માનવ જ્યોત સંસ્થા દ્વારા અનેક માનવ સેવા સાથે પશુ પક્ષીની પણ નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ચકલી દિન નિમિત્તે સંસ્થા દ્વારા વિશેષ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આજે સવારથી બપોર સુધીમાં ૧૫૦૦થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે. સંસ્થાના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે શહેરના રઘુવંશી નગર, જેસ્ટા નગર, સ્વામિનારાયણ ગુરુકુલ, નારણપર અને માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ૮૦૦ જેટલા ચકલીઘર અને ૭૦૦ જેટલા પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ અન્ય સંસ્થાઓનાં સહયોગ સાથે કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિ આજે સાંજ સુધી ચાલુ રાખીશું અને વધુમાં વધુ ચકલી ઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. આ સિવાય લખપત તાલુકાના નરા ખાતે આવેલી ગૌશાળામાં જીવદયા પ્રેમી ભરતભાઇ જૈન દ્વારા પાંજરાપોળમાં ૨ હજાર જેટલા ચકલી ઘર લગાવવામાં આવ્યા છે. જે તમામ માટીના લટકતા ઘર ચકલીઓથી ભરાઈ ગયા છે. અહીં ગૌ માતાની સાથે ચકલીઓનો કલબલાટ મુલાકાતીઓ માટે અનોખો માહોલ ખડો કરે છે. આજથી ૪૭ વર્ષ પહેલાં ૨ માર્ચ ૧૯૭૪ના રોજ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોના ગોળીબારમાં એક ચકલી મૃત્યુ પામી હતી. ત્યારે કેટલાક જીવદયા પ્રેમીઓએ તે ચકલીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદના આસ્ટોડિયામાં આવેલી એક પોળમાં તેની યાદમાં અને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાંભી બનાવવામાં આવી હતી. સાથે સાથે તેની કાયમી જાળવણી માટે તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. આજથી સાડા ચાર દાયકા પહેલાંની આ ઘટનામાં રહેવાસીઓ દ્વારા ચકલીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જે સ્થળે તે મૃત્યુ પામી હતી, તે સ્થળે એક ખાંભીનું નિર્માણ કરવામાં આવ્યંક હતું. તે સ્થળ ચકલીની ખાંભી તરીકે ઓળખવામાં આવે છે. તે સ્મારક ઉપર ચકલીનું ચિત્ર અને બનાવ અંગેની વિગતો પણ મૂકવામાં આવી હોવાનું અંગીયના બાદલ જાેશીએ જણાવ્યું હતું.


