ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. મતદાન દરમિયાન આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.ગોહિલે જાહેરનામું બહાર પાડી સરકારી કચેરીઓમાં તથા મતદાનમથકો આસપાસ માણસો ટોળા સ્વરૂપે એકઠા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મતદાન સમયે અમુક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં તથા જે તે મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્તારમાં સામાન્ય જનતાના રૂપમાં કે ટોળાના રૂપમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ઉપરાંત મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો મતદાન મથકમાં લઈ જવાની મનાઈ તેમજ મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર, ચૂંટણી એજન્ટ તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિને પ્રવેશ મળી શકશે નહીં. તેમજ જો કોઈ બુથ ખાતે પુનઃ મતદાન યોજવાનું થાય તો પુનઃ મતદાનના દિવસે સવારના ૦૬.૦૦થી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં તાત્કાલીક અસરથી અમલમાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
