મહેસાણા
મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની યોજાયેલી બેઠકમાં જિલ્લામાં કેમિકલયુક્ત અને ઝેર ફેલાવતી કંપનીઓ દ્વારા અનેકવાર પ્રદુષણ ફેલાવી લોકોના આરોગ્ય સામે ચેડાં કરતી હોવાનો મુદ્દો બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ઉઠાવ્યો હતો. તેમજ તેમણે મહેસાણા જિલ્લા પ્રદૂષણ વિભાગના અધિકારી પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. કંપનીના માલિકો, સંચાલકો અને તંત્રના અધિકારીઓની મિલીભગતથી કેટલીક કંપનીઓ સામે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઇ તપાસ કે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. જેના લીધે આવી કંપનીઓ તંત્રની રહેમ નજરે ધમધમી રહી છે. મહેસાણા હાઈવે ઉપર બાલીયાસણ ખાતે આવેલી મકેન ફૂડ, રાજપુરની અંબુજા કંપની અને મરતોલીની માધવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટા પ્રમાણમાં ઝેરી વાયુ, ધુમાડો, કેમિકલ્સ, ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. આ કંપનીઓ સામે પ્રદૂષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ત્રણેય કંપનીઓમાં કોઈ તપાસ કે કોઇ જ પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી લોકોના આરોગ્યના હિતને લઈને સત્વરે કાર્યવાહી કરવા ધારાસભ્યએ માંગ કરી હતી.મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતી અને ફરિયાદ બેઠકમાં ઝેરી કેમિકલ ફેલાવતી કંપનીઓ તેમજ પ્રદૂષણનો મુદ્દો ચમક્યો હતો. બેઠકમાં જિલ્લાના એક માત્ર કોંગી ધારાસભ્ય ભરત ઠાકોરે આજદિન સુધી પ્રદૂષણ વિભાગના કોઇ અધિકારી દ્વારા પગલાં ભરવામાં આવ્યા ના હોવાથી સત્વરે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
