જામનગર શહેરમાં ચૂંટણીની આચાર આદર્શ આચારસંહિતાની અમલી કરણની પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મંજૂરી વગરના બેનર-પોસ્ટરો-ઝંડા વગેરે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.તેના ભાગરૂપે ગઈકાલે રવિવારના દિવસે ભારતીય જનતા પાર્ટીના ૨૦૦ ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ૨૫૦ ઝંડા દૂર કરવામાં આવ્યા છે.જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દીવાલ પરના ૨૪૦ લખાણો દૂર કરી દેવાયા છે. ઉપરાંત કુલ તમામ પક્ષના ૫૫૯ બેનર તથા ૨૧૩ નંગ મંજૂરી વગરના કટઆઉટ, બેનર, હોર્ડિંગ, ધજા-પતાકા પણ દૂર કરી લેવામાં આવ્યા છે.જામનગર ઉત્તર ૭૮-વિધાનસભા વિસ્તારથી પંચેશ્વર ટાવર, જી.જી. હોસ્પિટલ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં લગાવેલા ઝંડા, બેનર, પોસ્ટર કે જે મંજૂરી વગર સ્ટ્રીટલાઇટ અથવા તો પીજીવીસીએલ સહિતની સરકારી મિલકતો પર લગાવેલા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે રવિવારના દિવસે કરેલી કુલ કાર્યવાહી અંગેનો વહીવટી તંત્ર દ્વારા ઉલ્લેખ કરાયો છે.
શહેરમાં ૭૮-વિધાનસભા ઉમેદવારો દ્વારા વિસ્તારમાં લગાવવામાં આવેલા બેનરો-પોસ્ટરોની મંજૂરી લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ કરમુર દ્વારા ૬૦૦ બેનર-પોસ્ટર ,કિઓસ્ક બોર્ડ સહિતની મંજૂરી લેવામાં આવી છે.૭૮-વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા ૨૧૦ પોસ્ટર હોર્ડિંગ અથવા કીઓક્સ બોર્ડની મંજૂરી લેવામાં આવી છે.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૩૧૦ બેનર-પોસ્ટર, જ્યારે બ સ.પા.ના ઉમેદવાર દ્વારા ૧૭ બેનરની મંજૂરી લેવાઇ છે.
